સુરત મહાનગર પાલિકાએ સુરત એરપોર્ટ તંત્ર પર લાલ આંખ કરી છે. તાજેતરમાં જ એએઆઈએ સુરત કસ્ટમ એરપોર્ટને પ્લાસ્ટિક ફ્રી જાહેર કર્યું છે. તેવામાં એસએમસીને ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં તેમણે એરપોર્ટને નોટીસ ફટકારી છે. ફક્ત આ એક જ બાબતે નહીં પણ પાલિકાએ અન્ય બાબતોને લઈને પણ એરપોર્ટને નોટીસ આપી છે. જેમાં ઓડબલ્યૂસી તેમજ ડસ્બીનની સુવિધા ન હોવી મુખ્ય બાબતો છે.
સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગે શુક્રવારે સુરત એરપોર્ટ તંત્રને નોટીસ પાઠવી છે. ફ્લાઇટમાંથી નીકળતાં સૂકા- ભીના કચરાને અલગ કરવાની કોઇ પણ પ્રકારની સુવિધા સુરત એરપોર્ટ પાસે નથી. આટલું જ નહીં ટર્મિનલ બિલ્ડિંગ, ટોઇલેટ, પાર્કિંગ સહિતની જગ્યા પર સૂકા અને ભીના કચરાને અલગ કરવાના ડસ્ટબીન પણ એરપોર્ટ પરિસરમાં ગોઠવવામાં આવ્યા નથી. અહી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ પણ બંધ કરાયો નથી. ઉપરાંત સુરત એરપોર્ટ પરિસરમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (ઓડબલ્યૂસી) ગોઠવવામાં આવ્યું નથી જે હવે આ પ્રકારની જાહેર સંસ્થાઓને મુકવું ફરજિયાત છે. આ દરેક બાબત અંગે નોટીસ પાઠવવામાં આવતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. આ તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે એએઆઇએ થર્ડ પાર્ટી પાસે એરપોર્ટ પર ઇન્સ્પેક્શન કરાવ્યું હતું. જેથી હવે થર્ડ પાર્ટીના ઇન્સ્પેક્શન રિપોર્ટ સામે પણ સવાલ ઊભા થયા છે.
આ અંગે વધુ માહિતી આપતા પાલિકાનાં આરોગ્ય અધિકારી ખત્રીએ જણાવ્યું હતું કે અગાઉ તેઓને નોટીસ આપવામાં આવી છે છતાં એરપોર્ટમાં યોગ્ય રીતે ડસ્ટબીન પણ ગોઠવવામાં આવી નથી. એટલુંજ નહીં અહીં થર્મોકોલ અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનું ન્યૂસંસ પણ યથાવત છે. જેને કારણે નોટીસ આપવામાં આવી છે. સંસ્થાને ચાર-પાંચ દિવસનો સમય અપાયો છે. જે મુદ્દે નોટીસ આપવામાં આવી છે તે તમામ મુદ્દે સંતોષકારક કામગીરી જોવા નહીં મળે તો પાલિકા એરપોર્ટ વિરૂદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.