જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફની બસ પર કાર બોમ્બનો આત્મઘાતી હુમલો થયો અને તેમાં 44 જેટલા જવાનો શહીદ થયા ત્યાર સમગ્ર દેશમાં ઘટનાને પગલે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પંરતુ સુરતમાં ભાજપના યુવા નેતા મોનિલ ઠાકરે આતંકી હુમલાના વિરોધમાં રેલી કાઢી હતી.
સુરતના યુવા ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી અને જવાનોને શ્રદ્વાંજિલ આપવામાં આવી પરંતુ સાથો સાથ રેલીમાં નમો અગેઈનની ટી-શર્ટ દ્વારા નરેન્દ્ર મોદીનો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. ભાજપના દરેક કાર્યકરો નમો અગેઈનની ટી-શર્ટ પહેરી હતી.
આ રેલીમાં કોલેજના યુવાઓએ મોટી સંખ્યામાં આમંત્રિત કરાયા હતા.રેલીના બેનરમાં 14 ફેબ્રુઆરી ને બ્લેક – ડે તરીકે બતાવવામાં આવ્યો હતો.જ્યારે રેલીમાં જોડાયેલ તમામને નમો અગેઈન ટી – શર્ટ પણ આપવામાં આવી હતી. એક તરફ આતંકી હુમલામાં શહીદ જવાનોને લઈ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે,ત્યાં બીજી તરફ ભાજપના યુવાનેતાઓ શહીદોને શ્રદ્ધાંજલિના નામે નમો અગેઈનનો પ્રચાર કરતા જોવા મળ્યા. આવી રીતે કાઢવામાં આવેલી રેલીને લઈ શહીદીના નામે પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની લાગણી ફરી વળી છે. આમ પણ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પુલવામા આતંકી હુમલાને લઈ રાજકારણ પણ ગરમાશે એવું પ્રતિત થઈ રહ્યું છે. મોદી સરકારે જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી છે.