સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અગરબત્તીના વેપારીને રૂ.૩ લાખમાં વેચેલો પ્લોટ મૂળ માલિકે બાદમાં અન્યને વેચી છેતરપિંડી આચરતાં લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા જીઆઇડીસી રોડ આકાશ રો હાઉસ પ્લોટ નં.9 માં રહેતા 35 વર્ષીય ગોકુળભાઈ ગોપીચંદ ચૌધરી ઉધના મગદલ્લા રોડ સોસ્યો સર્કલ પાસે શ્રી સાંઈ જલારામ અગરબતીના નામે અગરબત્તીનો વેપાર કરે છે.
શાકભાજીનો વેપાર કરતાં મિત્ર દિનેશ ચૌધરીના કહેવાથી તેમણે નવેમ્બર 2015માં દેવધ ગામ ગંગોત્રી સોસાયટીમાં આવેલો પ્લોટ નં.389 તેના માલિક હનુમાનસીંગ સેવચંદસીંગને પૈસાની તાકીદે જરૂર હોય રૂ.3 લાખમાં ખરીદ્યો હતો. પ્લોટ ખરીદ્યા બાદ ગોકુળભાઈ અવારનવાર ત્યાં જઈ તેની સ્થિતિ ચકાસતાં હતા. દરમિયાન લાંબા સમય બાદ ઓક્ટોબર 2018માં તે ત્યાં પહોચ્યા તો ત્યાં બાંધકામ થયું હતું.
આથી તેમણે બાંધકામ કરનાર વાધાભાઈ વલુભાઈ ભરવાડને પૂછતાં જાણવા મળ્યું હતું કે હનુમાનસીંગે 3 મે 2017ના રોજ આ પ્લોટ તેને કબજા સહીતના વેચાણ કરારથી વેચી દીધો છે. પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે ગોકુળભાઈએ ગતરોજ હનુમાનસીંગ વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસાઈ આર ડી નિનામાએ વધુ તપાસ હાથ ધરી છે.