સુરત ભાજપ લઘુમતિ મોરચામાં ગે-રિલેશનનાં મેસેજના અનુસંધાને લાલગેટ પોલીસે ભાજપના કાર્યકરની ફરીયાદનાં આધારે ભાજપના જ કાર્યકરની ધરપકડ કરી છે. જ્યારે મેસેજ વાયરલ કરનાર ભાજપના મોટા માથાને બચાવી લેવાનો ખેલ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી જાણવા મળી રહી છે.
વિગતો મુજબ સુરત ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ઈમરાન મેમણે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલી ફરીયાદ પ્રમાણે ઈમરાન મેમણ સુરત ભાજપ લઘુમતિ મોરચામાં મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. 25મી નવેમ્બરે ચોકબજાર ખાતે આવેલી અલ ખલીલ ટી-સેન્ટર પર સુરત લઘુમતિ મોરચાના પ્રમુખ વાજીદ(મોહસીન)મીર્ઝા સાથે ઉભો હતો ત્યારે યુનુસ શાહ નામનો ભાજપનો જ કાર્યકર ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીના નામે સારા રૂપિયા બનાવ્યા છે. જો રાજકારણમાં રહેવું હશે તો બે લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે. નહિંતર તમે બન્નેને બદનામ કરી દઈશ.
ત્યાર બાદ ઈમરાનને પહેલી ડિસેમ્બરે જાણવા મળ્યું કે વ્હોટઅપ ગ્રુપમાં ફોટો ફરી રહ્યા છે અને ફોટો પર અશ્લીલ લખાણ લખવામાં આવ્યું છે. બન્ને વચ્ચે ગે-રિલેશન હોવાનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાં ઈમરાન મેમણ ચોંકી ઉઠ્યો હતો અને તપાસ કરતાં માલૂમ પડ્યું કે યુનુસ શાહ નામના માણસે ફોટો સાથે લખાણ વાયરલ કર્યું છે. પોલીસે આ કેસમાં યુનુસ શાહની ધરપકડ કરી હતી. ગત સાંજે યુનુસ શાહને જામીન પર મૂક્ત કરવામાં આવ્યો હતો.
યુનુસ શાહની પૂછપરછમાં મેસેજ વાયરલ કરનાર તરીકે ઝાકીર શાહ નામનો ભાજપનો કાર્યકર હોવાનું ખૂલતાં પોલીસે ઝાકીર શાહન ધરપકડ કરી લોકઅપમાં પૂરી દીધો હતો. ઝાકીર શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવુ મનાય છે ઈમરાન મેમણ અને મોહસીન મીર્ઝા અંગેનો મેસેજ ભાજપના મોટા માથા ગણાતા મુસ્લિમ નેતાની ઓફીસેથી વાયરલ થયો હતો. હાલ એવું ચર્ચા છે કે મોટા માથાને બચાવી લઈ આખોય ટોપલો ઝાકીર શાહ પર નાંખી દેવામાં આવ્યો છે. મોટા માથાના કર્મચારીના માથે કેસ ચઢાવી દઈ મામલાને રફેદફે કરવાનો પેંતરો કરવામાં આવી રહ્યો છે. શહેર ભાજપના આગેવાનો દ્વારા ભાજપના મુસ્લિમ તરીકેના મોટા માથા સામે કાર્યવાહી કરવાનું માંડી વાળવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
તાજેતરમાં ઝાકીર શાહ અને અન્યો વિરુદ્વ સુરતના પાલીયા ગ્રાઉન્ડ નજીક આવેલી પારસી મહિલાની જમીન પચાવીને તેના પર પ્રોજેક્ટ કરી કરોડો રૂપિયા ઓહીયા કરી જવાનો ઈરાદો રાખતા ઝાકીર શાહને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો. આ કેસ બાદ આજે બીજો કેસ નોંધાયો હતો.