આજે સવારે સુરતના ખજોદ ખાતે બની રહેલા સુરત ડાયમંડ બૂર્સમાં કામદારનું શંકાસ્પદ મોત થતાં 10 હજાર કર્મચારીઓએ ભારે તોફાન મચાવ્યું હતું. ખાનગી એમ્બ્યુલન્સમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આવી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યાર બાદ કામદારના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો.
વિગતો મુજબ આજે સવારે સુરત ડાયમંડ બૂર્સમાં કામદારની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. કામદારના શંકાસ્પદ મોતને પગલે ડાયમંડ બૂર્સમાં કામ કરતા આશેર 10 હજાર કામદારોએ ત્વરિત પ્રત્યાઘાત આપ્યા હતા અને કામદારની લાશ લેવા આવેલી એમ્બ્યુલન્સની તોડફોડ કરી ઉંધી વાળી દીધી હતી.
વિગતો મુજબ ગઈકાલથી 45 વર્ષીય સત્યમ મિત્તલ અચાનક ગૂમ થઈ ગયો હતો. સત્યમના ગૂમ થવા અંગે કામદારોએ કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ આજે અચાનક બૂર્સની બિલ્ડીંગના બીજા માળે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. સત્યમની લાશ મળતા કામદારોનો ગુસ્સો ફાટ્યો હતો અને લાશ લેવા આવેલી ખાનગી એમ્બ્યુલન્સને ઉંધી વાળી તોડફોડ કરી હતી.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ડાયમંડ બૂર્સ ખાતે પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. ડીસીપી વિધિ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થિતિને કન્ટ્રોલ કરી હતી. ડીસીપી વિધિ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું કે કામદારના મોતને પગલે ફાટી નીકળેલા રોષને શાંત કરવામાં આવ્યો છે અને હવે સ્થિતિ નિયંત્રણમાં છે. નુકશાન થયું છે તે અંગે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
કામદારોએ ડાયમંડ બૂર્સના ગ્રાઉન્ડ પર જ એકત્ર થઈ સત્યમના પરિવારજનોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને કામદારોની સલામત માટે પુરતા પગલા ભરવામાં આવે તે અંગે પોલીસ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને રજુઆત કરી હતી. કામદારોની રજૂઆતના પગલે વળતર અંગે આશ્વાસન આપવામાં આવ્યુ હતું અને કામદારોનો રોષ થાળે પડ્યો હતો.