લોકડાઉનમાં સૌરાષ્ટ્રનો હીરા ઉધોગ ઠપ થઈ ગયા બાદ હવે લાંબા સમયે ફરી આ ઉધોગ ધમધમતો થયો છે. સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય અર્થતંત્રમાં ખેતી બાદ હીરા ઉધોગની મહત્વની ભૂમિકા રહી છે લાખો ગ્રામીણ યુવાનો કોરોના કાળમાં બેકાર બન્યા હતા તે ફરી હીરા ઉધોગ ચાલુ થતા રોજગારી મેળવતા થયા છે. દરમિયાન કોરોનાની ગંભીર સ્થિતિને લઈને સુરતથી વતન સૌરાષ્ટ્રમાં આવેલા હજારો લોકોએ ફરી સુરતની વાટ પકડી છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ , જસદણ, ગઢડા, બાબરા , લાઠી સહિતનાં વિસ્તારો હીરા ઉધોગનાં મુખ્ય કેન્દ્રો છે. સૌરાષ્ટ્રમાં લાખો યુવાનો કોરોના આફતને કારણે હીરાની ફેકટરીઓ બંધ થતા છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા – રોજગાર વિના બેઠા હતા. હીરાની ફેકટરીમાં સીટીંગ વ્યવસ્થા જ એવી હોય છે કે એક ઘંટીને ફરતા ચાર – પાંચ કારીગરો બેસે છે એટલે કોરોના સંક્રમણનો સૌથી વધુ ખતરો હોવાથી ફેકટરીઓનાં શટર પાડી દેવામાં આવ્યા હતા.
દરમિયાન હવે અનલોક જાહેર કરી વેપાર – ઉધોગને છૂટ છાટ આપતા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક , સેનિટાઈઝર્સની સુવિધા સાથે હીરા ઉધોગ ફરી ધમધમતો થયો છે. જસદણ ડામયંડ માર્કેટ એસોસિએશનનાં પ્રમુખનાં જણાંવ્યા મુજબ જસદણ અને આસપાસનાં ગામોમાં હીરાની ઘંટીઓ ફરી ચાલુ થઈ ગઈ છે અને આશરે પાંચ હજાર કારીગરો કામ મળતુ થઈ ગયુ છે. સુરતમાં પણ કારખાના ચાલુ થઈ ગયા છે કાચી રફ પણ મુંબઈ અને સુરતથી હવે આવી રહી હોવાથી કોઈ મુશ્કેલી નથી.