દેશભરમાં ઉજવાય રહેલા ગણેશ ઉત્સવની તામજામ પાછળ થઈ રહેલા ખર્ચાને જોઈ મંદીની અસર જાણે ભૂલાઈ છે. આ સાથે મંદી શબ્દની અસર ઓછી કરે તેવી ઘટના સુરતમાં બની છે. શહેરના 4 મોટા ગણેશ આયોજકોએ મૂર્તિ અને મંડપની સાથો-સાથ ગણેશ ભક્તો માટે પણ રૂ.1 કરોડથી વધુનો વીમો ઉતરાવ્યો છે. ભક્તજન ભાગદોડમાં જીવ ગુમાવે કે પ્રસાદ ખાઈ બિમાર થાય તો પણ વીમાની રકમ ક્લેઈમ કરી શકાશે.
સુરતમાં ઉજવાતા ઉત્સવો દર વર્ષે એક નવા બેંચમાર્ક સેટ કરતાં હોઈ છે. પાછલા વર્ષે સુરતમાં એકેય મૂર્તિનું વિસર્જન તાપી નદીમાં ન કરી, તેની જગ્યાએ સીધુ દરિયા અને કુત્રિમ તળાવમાં વિસર્જન કરી પાણી પ્રદુષણ ન કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. જ્યારે આ વર્ષે શહેરના નાના-મોટા આયોજકોએ માટીની મૂર્તિની સ્થાપનાની સાથે-સાથે પ્રથમ વખત ભક્તજનો માટે વીમો ઉતરાવી નવો બેંચમાર્ક સર્જયો છે.
વીમો ઉતરાવનારા ટોરીન વેલ્થના મેનેજમેન્ટ ગુરૂ જિગ્નેશ માધવાણીના જણાવ્યા અનુસાર, વીમો એટલે માત્ર જીવન અને અકસ્માતનો નહીં પણ વિવિધ વસ્તુઓનો પણ હોય છે. ફિલ્મનિર્માતાઓ તેના ફિલ્મ સેટના પણ કરોડોના વીમા કરે છે. લગ્ન વખતે ભવ્ય મંડપના પણ વીમા થાય છે. તો ગણેશ મંડપોના વીમા કેમ નહીં?. હકીકતમાં મુંબઇમાં ઘણાં ગણેશ મંડળો આવા પ્રકારના વીમો ઉતરાવતા હોઈ છે. સુરતમાં જાગૃતિના અભાવે આ કાર્ય થતુ ન હતું. જેની હવે શુભ શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સિટીલાઇટના સરકાર ગૃપ, દાળીયા શેરીના ગૃપે, અડાજણ પરશુરામ ગાર્ડન ગૃપ અને હાઇટેક એવેન્યુ વેસુ ગૃપે એક-એક કરોડની રકમનો વીમો ઉતરાવ્યો છે. એકતરફ દેશમાં ચોતરફ મંદીની બૂમરાણ પડી રહી છે ત્યારે ગણેશ ઉત્સવના આયોજનમાં મંદીની અસર વર્તાતી નથી. ગણેશજીને બિલ્કુલ મંદી નડી નથી.
તેમણે જણાવ્યું હતું કે, શહેરના આ આયોજકોએ ઉતરાવેલો વીમો મૂર્તિ, મંડપ કે આયોજકો પૂરતો સિમિત રહ્યો નથી. આ વીમાથી ગણપતિના દર્શન માટે આવનારા ભક્તજનોને પણ વીમાનું કવચ આપવામાં આવ્યું છે. આ વીમા કવચથી ભક્તજન ભાગદોડમાં જીવ ગુમાવે, પ્રસાદ ખાઇને બિમાર થઇ જાય તો પણ વીમાની રકમ મળી શકે, કોઇ ઝઘડો-મારામારીની ઘટનામાં, આયોજકો પર કેસ થાય વગેરે જેવા અનેક પ્રકારના વિઘ્ન સામે આયોજકો માટે આ વીમો વિઘ્નહર્તા સમાન બની ગયો છે.