ઘોડદોડ રોડ રામચોક વિસ્તારના આર્શીવાદ કોમ્પ્લેક્ષમાં રહેતા કિંગ્સ કાફેના માલિકના બંધ ફલેટને તસ્કરોએ ભર દિવસે નિશાન બનાવી દરવાજાનું તાળુ તોડી 9 લાખની હીરા જડિત વીટી સહિત કુલ રૂ.12.50 લાખની મત્તા ચોરી ગયા હતા. તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
શહેરના ઘોડદોડ રોડ સ્થિત રામચોક વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પલેક્ષમાં રહેતા જીમ્મી હસમુખભાઈ માવાણી ગતરોજ પરિવાર સાથે વરાછા વિસ્તારમાં રહેતી બહેનના ઘરે ગયા હતા. તે દરમ્યાન તેમના બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી બેડરૂમના કબાટની તિજોરી તોડી તેમાંથી હીરાજડિત રૂ. 9 લાખ કિંમતની સોનાની વીંટી ઉપરાંત સોનાના અન્ય દાગીના મળી કુલ રૂ. 12 પોઈન્ટ પચાસ લાખની મત્તાની ચોરીને ભાગી ગયા હતા.
સાંજના પાંચ વાગ્યાના અરસામાં વરાછા બહેનના ઘરેથી જીમ્મી માવાણી પોતાના કિંગ્સ કાફે પર આવી ગયો હતો. જ્યારે તેમની પત્ની અને બહેન સહિત પરિવારના અન્ય સભ્યો રાત્રે 9 વાગ્યે પરત ઘરે આવ્યા ત્યારે દરવાજાનું તાળું તુટેલુ અને ઘરનો સામાન વેરવિખેર જોઈ ચોંકી ગયા હતા.
ઘરમાંથી થયેલી ચોરી અંગે જીમ્મી માવાણીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ માળના કોમ્પલેક્ષમાં લિફ્ટની સુવિધા નથી અને સિક્યુરિટી વ્યવસ્થાનો પણ અભાવ છે. પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે.