સુરતઃ સુરત શહેરમાં સામાન્ય બાબતોની હત્યા જેવી ગંભીર ઘટનાને અંજામ આપવું આમ બની ગયું છે. ત્યારે આવી જ એક વધુ એક ઘટના બની છે. જ્યાં માત્ર કારખાનામાં ઊંઘવા બાબતે બે મિત્રોએ મળીને એક રત્નકલાકારની હત્યા કરી નાંખી હતી. જોકે, બંને આરોપીઓને પોલીસે ભાવનગરમાં આઈસોલેશન સેન્ટરમાં પકડી પાડ્યા હતા. કારખાનામાં કોઇને કોઇ કારણોસર મૃતક નરેશ ઢાપા સાથે આરોપીઓનો ઝઘડો થતો રહેતો હોય જેને કારણે તેની હત્યા કરી નાંખી હોવાની આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા રિવેરા એટલાન્ટીકામાં રહેતા હીરા વેપારી કાળુ શિવાભાઇ બેલડીયા વરાછા માતાવાડી વિઠ્ઠલનગર પાસે રંગનગર સોસાયટીમાં હીરાનું કારખાનું ચલાવે છે. તેમને ૧૫ દિવસ પહેલા બિપીન નામનો રત્નકલાકાર નોકરી ઉપર જોડાયો હતો. બિપીન કારખાને જોડાયા બાદ તેના મિત્ર માનસિંગ ઉર્ફે બાવો ગોબરભાઇ ગોહીલ (રહે. વિઠ્ઠલનગર માતાવાડી, વરાછા, મુળ રહે.નાનદ્રાખ, તા.ઉના, જી.ગીર-સોમનાથ)ને પણ કારખાનામાં કામ માટે લઇ આવ્યો હતો.
દરમિયાન રાત્રિના સમયે નરેશ ઢાપા, બિપીન ઉર્ફ રાધે ધનજીભાઇ રામજી મકવાણા (રહ. વરાછા, માતાવાડી, મુળ રહે. સવાઇનગર, કુંભારવાડા, ગીરનાર સોસાયટી, ભાવનગર) અને માનસિંગ કારખાના ઉપર રોકાયા હતા. ત્રણેય કારીગરો કારખાનામાં જ સુઈ ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે બિપીન અને માનસિંગ સાથે નરેશ ઢાપાનો કોઇ કારણોસર ઝઘડો થયો હોય બિપીન અને માનસિંગે ભેગા મળી નરેશ ઢાપાને મોઢાના ભાગે કોઇ બોથડ પદાર્થ વડે મુઢ ઇજા પહોંચાડી ગળુ દબાવી તેની હત્યા કરી નાંખી હોવાની શંકાને આધારે કારખાના માલિકે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં આરોપીઓ ફરાર હોય પીએસઆઈ વસાવા તથા મહીડા અને પોલીસ કોન્સ્ટબલ સંજય હીલ્સાઇ ભરવાડ અને ભીખન રાણાભાઇએ આરોપીઓ બાબતે પોતાના બાતમીદારોનું નેટવર્ક સક્રીય કર્યું હતું. જેમાં આરોપીઓ ભાવનગરમાં હોવાની માહિતી મળી હતી આ પહેલા બંને આરોપી બંને કતારગામમાં એક જગ્યાએ રોકાયા હતા.
બીજા દિવસે અખબારોમાં સમાચાર વાંચતા તેઓ ગભરાયા હતા. તેઓ રેલવે ટ્રેક પર ચાલતા-ચાલતા અંકલેશ્વર ગયા હતા. ત્યાંથી હાઈવે પર જઈ લિફ્ટ લઈ ભાવનગર પહોંચી એક કોવિડ આઈસોલેશન સેન્ટરમાં રોકાયા હતા. ત્યાં તેઓને જમવાનું મળી રહેતું હતું. જેથી વરાછા પોલીસે બંનેની ભાવનગરમાં આઈસોલેશન સેન્ટરમાંથી ઝડપી પાડ્યા છે. મૃતક સાથે આરોપીઓનો ઝઘડો થતો રહેતો હતો જેને કારણે તેની હત્યા કરી નાંખી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.