તાજેતરમાં સુરતના ડો.પ્રફુલ્લ દોષી પ્રકરણમાં બળાત્કારનો આરોપ મૂકનારી પરિણીતાએ કોર્ટમાં સમાધાન કરતી એફિડેવિટ રજૂ કરી હતી, ત્યાર બાદ આજે સુરતના ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ દ્વારા યુવતી પરના કેસમાં પણ કોર્ટમાં સમાધાનની એફિડેવિટ રજૂ કરવામાં આવતા ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુવતીએ એફિડેવિટ કરતા કોર્ટે સાધુ સામેની બળાત્કારની ફરીયાદ કરતો હુકમ કર્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, અગાઉ યુવતીએ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા સાધુ કરણસ્વરૂપ સ્વામી સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને એક દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા. તેમજ તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
બીજી તરફ ડભોલી મંદિર કરણસ્વરૂપ સ્વામીના બચાવમાં આવ્યું હતું અને સીસીટીવી જાહેર કરી યુવતીના પરિવાર દ્વારા સ્વામીને માર મારવામાં આવ્યો હોવાનું તેમજ સમાધાન કરવા જણાવાયું હોવાનો દાવો કરાયો હતો.
સુરતના જ જહાંગીરપુરા વિસ્તારમાં માં રહેતી યુવતીએ કતારગામના ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા કરુણસ્વરૂપ સ્વામી સામે બે-બે વાર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ હતી કે, આર્થિક મદદ માંગવા ગઈ ત્યારે સ્વામીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, હવે બંને વચ્ચે સમાધાન થઈ જતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરિયાદ રદ કરવામાં આવી છે.