સુરતના ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાને માર મારીને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ સાથે પરિણીતા પોલીસ કમિશ્નર કચેરી પહોંચી હતી. મારનો ભોગ બનેલી પરિણીતાએ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. જ્યાં તબીબોને ઈજાના મારના નિશાન મળી આવ્યા હતાં. પીડિતાએ જણાવ્યું હતું કે, તેને પહેલા ખોળે દીકરી જન્મી હોવાથી સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારીને દહેજની માંગણી કરવામાં આવી હતી. અને તલાકની ચીમકી આપી હતી.
મુસ્લિમ પરિણીતાએ સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, તેના લગ્નના બે વર્ષમાં અનેકવાર માર મરાયો હતો. ઘરમાં તાળા મારીને ગોંધી રાખવામાં આવતી હતી. દહેજ માટે દોઢ લાખ આપ નહિતર તલાક આપી દેવાની પણ પતિ નાજીમ શેખ દ્વારા ધમકી અપાતી હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું.
બે મહિનાની દીકરી સાથે પોલીસ કમિશ્નર રજુવાત માટે આવેલી પીડિતાના શરીર પરથી મારના નિશાન મળી આવ્યા હતાં. પરિણીતાનો પતિ નાજીમ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. સાસુ, જેઠાણી અને નણંદ અને પતિ માર મારતા હોવાનો આરોપ મુક્યો હતો. પરિણીતાએ જણાવ્યું હતું કે,તેણીના પરિવારને છોકરી જન્મથી ખુશી નથી. છોકરો જન્મ આપતે તો ખુશ થયા હોત. ઘરના વાસણથી લઈ ઢીકામુક્કીનો માર અને પકડથી પણ મારવામાં આવતા હોવાના પતિ પર આક્ષેપ કર્યાં હતાં.
પોલીસે કોઈ કાર્યવાહી ન કરી એટલે દીકરી સાથે બેઘર બની
પરિણીતાએ જણાવ્યું હતું કે, સલાબતપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી એટલે દીકરી સાથે બેઘર બની છે. દીકરીનો બાપ મોઢું જોયા બાદ આજદિન સુધી મળવા નથી આવ્યો. ખોળે દીકરી હોવા છતાં પતિ માર મારતો આવ્યો છે. બુરખો ફાડીને જાનવરની જેમ તૂટી પડતો હોવાનો પરિણીતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો. હાલ તો સાસરિયાના ત્રાસનો ભોગ બનેલી પીડિત મહિલાએ સુરત પોલીસ કમિશનર દ્વાર ખખડાવ્યા છે. જો કે પોલીસ આ પીડિત મહિલાની વેદના સાંભળી કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.