દરેકે દરેક પાર્ટીને પોતાના કાર્યકર્તાઓ કરતા આયારામ- ગયારામ કરનારા સીનીયર કાર્યકરો દ્વારા જ મોટું નુકશાન પહોચાડવામાં આવતું હોવાના સેંકડો ઉદાહરણો ઉપલભ્ધ છે. સુરતમાં સત્તાની લાલચે ત્રણ દાયકા પહેલા પક્ષ માટે પનોતીરૂપ સાબિત થયેલા હીરા ગાંગાણી આ વખતે ફરી મેદાનમાં આવતા કાર્યકરોમાં ભારે રોષ ફેલાવા પામ્યો છે. સને ૧૯૯૦મા એટલે કે આજથી સત્યાવીસ વર્ષ પૂર્વે સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસનું શાસન હતું.
તે સ,એ કોંગ્રેસમાં ફૂલેલી આંતરિક જૂથબંધીના કારણે અજીત દેસાઈ, હીરા ગાંગાણી તેમજ મંજુલાબેન પટેલ સહિતના લગભગ ૧૫થી વધુ કોર્પોરેટરો બળવો કરીને ભાજપમાં ભળી ગયા હતા અને પાલિકામાં કોંગ્રેસના શાસનનો અંત આવ્યો હતો. તે સમયે બળવો કરીને અજીત દેસાઈ મેયરપદે અને હીરા ગાંગાણી ડેપ્યુટી મેયરપદે બિરાજમાન થઇ ગયા હતા.
ત્યારથી આજદિન સુધી કોંગ્રેસ સુરત મહાનગર પાલિકામાં સત્તા મેળવવાના માત્ર સપના જ જોતી રહી છે, તે સમયે બળવો કરનારાઓનાં પાપે કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે પરિસ્થિતિ એવી આવી છે કે ભૂતકાળમાં સત્તા સ્થાનેથી કોંગ્રેસને પાસે રહીને પદબ્ર્ષ્ટ કરાવીને હોદ્દાનો ફાયદો ઉઠાવનારા હીરા ગાંગાણીએ કોઈ જ લાજશરમ રાખ્યા વિના કામરેજ અને વરાછા વિસ્તારમાંથી ટીકીટ માંગતા પાયાના કાર્યકરોમાં ભયંકર ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ જ બળવાખોર હીરા ગાંગાણીએ ૨૦૧૨ના વર્ષમાં વરાછા બેઠક ઉપરથી ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચુંટણી લડી હતી અને પરાજય પણ મેળવ્યો હતો.