વ્યાજે આપેલા રૂ.4.32 કરોડ સામે રૂ.6 કરોડ વસૂલ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી મોટા વરાછાના બે બિલ્ડરોને લસકાણા ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બેરહેમીથી માર મારી બળજબરીપૂર્વક લખાવી લેનાર વ્રજ ડાયમંડના માલિક, તેના જમાઈ, પુત્ર સહિત 10 થી 15 વિરુદ્ધ સરથાણા પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના વતની અને સુરતમાં મોટા વરાછા રિવર વ્યુ હાઇટસમાં રહેતા બિલ્ડર ચેતનભાઇ હિંમતભાઈ સાવલિયા અને તેમના ભાગીદાર અભયભાઇ હરજીભાઈ ગોંડલીયાએ સાત વર્ષ અગાઉ ચતુર નાથાભાઈ દૂધાત ( રહે. તક્ષશિલા સોસાયટી, હીરાબાગ, વરાછા, સુરત ) પાસેથી રૃ.4.32 કરોડ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા અને અત્યાર સુધી વ્યાજ પેટે રૃ.6 કરોડ પણ ચૂકવી દીધા હતા. પરંતુ એક વર્ષથી મંદીને પગલે તેઓ વ્યાજ ચૂકવી શકતા ન હોય આ બાબતે વિવાદ ચાલતો હતો. ગુરૃવારે સાંજે આ મામલે ચતુર દૂધાત, સંદીપ ધામેલીયા અને ભીખાભાઈ ધામેલીયા સાથે મીટીંગ પણ થઈ હતી અને તેમાં બાકી નીકળતી મુદ્દલ સામે સાવા પાટીયાનો પ્લોટ આપવાનું નક્કી થયું હતું.
જોકે, રાત્રે સંદીપ ધામેલીયાએ ચેતનભાઇને ફોન કરી મિલકતના લખાણ માટે લસકાણાના વ્રજ ફાર્મમાં બોલાવ્યા હતા. ચેતનભાઇ તેમના ભાગીદાર અને પિતરાઈ ભાઈ વિપુલ સાથે ત્યાં પહોંચ્યા અને વાતચીત ચાલતી હતી ત્યારે ચતુર દૂધાતના સસરા અને કાપોદ્રા ચાર રસ્તા ખાતે વ્રજ ડાયમંડના નામે હીરાની પેઢી ધરાવતા તેમજ ફાઇનાન્સમાં મોટું નામ ગણાતા રવજીભાઈ ધામેલીયા ઉર્ફે રવાણી ચાર પાંચ વ્યક્તિ સાથે આવ્યા હતા અને મારા જમાઈના પૈસા કેમ લીધા છે, તું મને ઓળખતો નથી તેમ કહી ધાક-ધમકી આપી હતી. બાદમાં ચેતનભાઇ અને અભયભાઇને અલગ અલગ રૃમમાં લઈ જઈ લાકડાના ફટકા અને પાઇપથી માર મરાયો હતો. બાદમાં તેમની પાસે બળજબરીથી 6.85 કરોડનું લખાણ પણ લખાવી દેવાયું હતું અને ત્યાર બાદ છોડી મુકાયા હતા.
ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ ચેતનભાઇએ આ અંગે ચતુરભાઈ દુધાત, તેમના પુત્ર વિરલ, તેમના સસરા રવજીભાઈ ધામેલીયા ઉર્ફે રવાણી, રવજીભાઈના પુત્ર શૈલેષ સહિત 10 થી 15 વ્યક્તિ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચતુરભાઈ હિંમતભાઈ રામાણીની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ સી.કે કાતરીયા કરી રહ્યા છે.