પાલ આરટીઓ રોડ પર આજે સવારે બીઆરટીએસ બસે ગર્ભવતી મહિલાને અડફેટે લીધી હતી. જેના લીધે ત્યાં ભારે હંગામો સર્જાયો હતો. ઈજા પામેલી મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાલ આરટીઓ પાસે ખુલ્લા મેદાનમાં રહેતી 20 વર્ષીય ગર્ભવતી સુનિતા અર્જુન સરવૈયા આજે સવારે દૂધ લઈને પગપાળા ઘર તરફ આવતી હતી. તે સમયે પાલ આરટીઓ પાસે બીઆરટીએસ બસે તેને ટક્કર મારી હતી. જેથી ત્યાંથી પસાર થતા લોકો ઉભા રહી ગયા અને આજુબાજુના લોકો તરત ત્યાં દોડી આવતા ભારે હોબાળો સર્જાયો હતો. ઈજા પામેલી ગર્ભવતી સુનીતાને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તેના ડાબા પગમાં વધુ ઇજા થઇ હતી અને તેને જમણા પગ અને હાથમાં સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સિવિલના તાત્કાલિક સારવાર વિભાગમા ડૉક્ટરે તેની સારવાર શરૂ કરી હતી. સોનુના પરિવારજનોની ચિંતા સતાવતી હતી કે તેમનો ગર્ભ સલામત હશે કે નહીં દરમિયાન તેનો ગર્ભ સહી સલામત છે કે નહીં તે જાણવા માટે ડૉક્ટરે સોનોગ્રાફી કરી હતી. બાદમાં ખબર પડ્યું કે તેનો ગર્ભ સલામત હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. નોંધનીય છે સુનિતા મૂળ ભાવનગરના પાલિતાણાની વતની છે. તેના લગ્ન દોઢ-બે વર્ષ પહેલા થયા હતા અને તેને સાત માસનો ગર્ભ છે. જોકે આ અકસ્માતમાં સદનસીબે તેનો ગર્ભને કશું થયું ન હોવાથી બચી જવાથી તેના પરિવારજનોની ચિંતા દૂર થઇ હતી. સુનિતા અને તેનો પતિ મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે.