મહુવા કેન્દ્રથી શરૂ થયેલી નવી રૂટ સર્વિસ, બે પવિત્ર સ્થળોને જોડતી સુવિધાથી મુસાફરોને મળશે મોટો લાભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) ના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકરની યાદી મુજબ, ૩ માર્ચ ૨૦૨૬ના રોજ તલગાજરડાથી સાળંગપુર વચ્ચે નવી એક્સપ્રેસ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી બસ સેવા શરૂ થવાથી મહુવા તાલુકાના રહીશો અને શ્રદ્ધાળુઓ માટે બે પવિત્ર યાત્રાધામો વચ્ચેની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે.
પૂજ્ય મોરારીબાપુના હસ્તે બસનું પ્રસ્થાન અને મુસાફરી
આ નવીન બસ સેવાનું ઉદ્ઘાટન તલગાજરડા ખાતે પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બાપુએ આશીર્વચન આપી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વિશેષ વાત એ હતી કે, પૂજ્ય મોરારીબાપુએ પોતે પણ બસમાં બેસી, ટિકિટ ખરીદીને તલગાજરડાથી ગણેશ મંદિર સુધી મુસાફરી કરી હતી. આ પ્રસંગે મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બચુભાઈ પટેલ, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ એસ.ટી. નિગમના આગેવાનો હાજર રહ્યા હતા.
બસનો સમય અને રૂટની વિગતો
આ નવી એક્સપ્રેસ બસ દરરોજ સવારે ૧૧:૦૦ કલાકે તલગાજરડાથી ઉપડશે. આ બસ મહુવા, તળાજા, ભાવનગર અને વલ્લભીપુર થઈને બપોરે ૧૫:૪૦ કલાકે સાળંગપુર પહોંચશે. પરત મુસાફરી માટે સાળંગપુરથી સાંજે ૧૬:૧૦ કલાકે ઉપડીને એ જ રૂટ પર રાત્રે ૨૧:૦૦ કલાકે તલગાજરડા પરત ફરશે. એસ.ટી. નિગમ દ્વારા મહુવા પંથકની જનતાને આ નવી સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
