સોશિયલ મીડિયા કંપની ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગે શુક્રવારે કહ્યું કે કંપની તેમના પ્લેટફોર્મ પર કોણ લાઇવ જશે તેના પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. જોકે તેના માટે અનેક ક્રાઇટેરિયા રાખવામાં આવશે. કંપની આ પગલું ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા આંતકી હુમલા બાદ લઇ રહી છે. સેન્ડબર્ગે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે કંપની મોનિટર કરશે કે ફેસબુક પર કોણ ‘લાઇવ’ જઇ શકે છે. આ કોમ્યુનિટી માર્ગદર્શિકાઓ જેવા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરશે.
બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકે 900થી વધુ અલગ અલગ વીડિયોની તપાસ કરી છે જેમાં 17 મિનિટના સંહારના કેટલાક ભાગ દર્શાવવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયા તેમજ ન્યુઝીલેન્ડમાં નફરત ફેલાવનાર સમૂહની ઓળખ કરવા અને તેમને દૂર કરવા માટે હાજર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગત અઠવાડિયે સોશિયલ નેટવર્કિંગ દિગ્ગજ કંપનીએ કહ્યું હતું કે તેણે વિશ્વભરમાંથી 1.5 મિલિયન વીડિયો ડિલીટ કર્યા છે. જેમાં હુમલા પછીના પ્રથમ 24 કલાકમાં ન્યૂઝીલેન્ડ મસ્જિદ હુમલાના ફૂટેજ હતા.
પ્રાપ્ત માહિતી મુજબ આ અઠવાડિયાની શરૂઆતમાં ફ્રાન્સમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરનાર મુખ્ય જૂથોમાંના એકે કહ્યું હતું કે તે ફેસબુક અને યુટ્યુબ પર સુનાવણી કરી રહ્યો છે. ગ્રુપે ફેસબુક અને યુટ્યુબ પર વીડિયોની સ્ટ્રીમિંગ દ્વારા હિંસા ભડકાવવાનોો આરોપ લગાવ્યો હતો.
ફેસબુક વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની છે. હાલમાં તેના 2.7 અબજ યુઝર્સ છે. આ સોશિયલ મીડિયા કંપની કેમ્બ્રિજ એનાલાટીકા સ્કેન્ડલ પછી કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં છે. કંપની પાસે વોટ્સએપ અને ઇન્સ્ટ્રાગ્રામ જેવા બે અન્ય મોટા પ્લેટફોર્મની પણ માલિકી છે.