ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ સહકારી સંસ્થાઓના નામમાં “બેંક”ના ઉપયોગ કરવાને લઈને લોકોને સતર્ક રહેવાનું કહ્યું છે. આરબીઆઈએ સોમવારે રજૂ કરેલા એક નિવેદનમાં કહ્યું કે, બેકિંગ નિયમન અધિનિયમ 1949મા કરવામાં આવેલા સંશોધન પછી કોઈપણ સહકારી સમિતિ “બેંક, બેંકર અથવા બેકિંગ” શબ્દનો ઉપયોગ પોતાના નામમાં કરી શકે નહીં.
જો કે, ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ પરવાનગીને આધીન આમ કરવાની છૂટ રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા 29 સપ્ટેમ્બર, 2020થી અમલમાં આવ્યા છે.
કેન્દ્રીય બેંકે કહ્યું કે તેને કેટલીક સહકારી મંડળીઓ દ્વારા તેમના નામમાં ‘બેંક’ શબ્દનો ઉપયોગ કરવાની ફરિયાદો મળી છે, જે આ સુધારેલા નિયમનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત કેટલીક સહકારી મંડળીઓ ગેર-સભ્યો પાસેથી થાપણો પણ સ્વીકારી રહી છે જે બેંકિંગ વ્યવસાયમાં જોડાવા સમાન છે. રિઝર્વ બેંકે પણ સહકારી મંડળીઓના આ વર્તનને બેંકિંગ રેગ્યુલેશન એક્ટનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
રિઝર્વ બેંકે કહ્યું, “આવી સ્થિતિમાં સામાન્ય જનતાને જાણ કરવામાં આવે છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ આવી સહકારી મંડળીઓને બેંકિંગ માટે કોઈ લાઇસન્સ આપવામાં આવ્યું નથી, ન તો તેમને આરબીઆઈ દ્વારા આવું કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ બેંકે લોકોને ચેતવણી આપી છે કે આવી સહકારી મંડળીઓમાં જમા કરવામાં આવેલી રકમ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)ના કાર્યક્ષેત્રમાં આવતી નથી. તેથી લોકોએ આવી સહકારી મંડળીઓમાં તેમના નાણાં જમા કરાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ. કેન્દ્રીય બેંકે લોકોને બેંકિંગ કામગીરી માટે અધિકૃત લાઇસન્સ ધરાવતી સંસ્થાઓ સાથે જ વ્યવહાર કરવા જણાવ્યું છે.