વડોદરામાં ‘રક્તપિત્ત મુક્ત ગુજરાત’ સંકલ્પને વેગ, લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન સફળ
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં તાજેતરમાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે જેમાં તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો. ડિસેમ્બર મહિના દરમિયાન ચાલેલી આ ઝુંબેશમાં ગ્રામ્ય અને શહેર એમ બંને વિસ્તારોને આવરી લઈને સંક્રમણ અટકાવવા માટે નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ટીમોએ ગલીએ ગલીએ ફરીને કર્યું સર્વેક્ષણ
વડોદરા જિલ્લામાં આ કામગીરી માટે કુલ 1682 જેટલી અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય સ્તરે 1282 અને શહેરી વિસ્તારમાં 400 ટીમોએ સક્રિય ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં પરંતુ શ્રમિકો કામ કરતા હોય તેવા ઈંટના ભઠ્ઠા અને શાળાઓમાં પણ જઈને આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ વ્યક્તિ તપાસથી વંચિત ન રહી જાય.
તપાસમાં મળી આવ્યા નવા સંક્રમિતો
આ સઘન સર્વેક્ષણ દરમિયાન આરોગ્ય ટીમોને અંદાજે 6697 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા જેમનામાં રક્તપિત્તના પ્રાથમિક લક્ષણો જણાયા હતા. આ તમામની ઝીણવટભરી તબીબી તપાસ કર્યા બાદ 98 જેટલા નવા દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે જેમને તુરંત જ નિઃશુલ્ક સારવાર આપવાનું શરૂ કરી દેવાયું છે. સદનસીબે આ સર્વેમાં કોઈ પણ બાળ દર્દી કે ગંભીર રીતે વિકલાંગતા ધરાવતો નવો કેસ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
નિરીક્ષણ અને તાલીમથી સફળતા મળી
આ અભિયાનને સો ટકા સફળ બનાવવા માટે આરોગ્ય કર્મચારીઓને અગાઉથી જ વિશેષ ટ્રેનિંગ આપીને સજ્જ કરવામાં આવ્યા હતા. જિલ્લા રક્તપિત્ત અધિકારી દ્વારા જાતે ફિલ્ડ વિઝિટ કરીને તમામ સર્વેક્ષણ કામગીરીનું સીધું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ચોકસાઈને કારણે જ નવા કેસો શોધી શકાયા છે અને સમયસર સારવાર શરૂ થઈ શકી છે જે ભવિષ્યમાં રોગને ફેલાતો અટકાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

