પર્યાવરણ પ્રત્યેની લાગણી સાથે શિલ્પાબેનનું ગાર્ડન બન્યું પક્ષીઓ અને પ્રાણીઓ માટે નાનકડું ઉપવન

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

શહેરના કોંક્રિટ વચ્ચે ૧૦૦૦ ચો.ફુટ ગાર્ડનમાં પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા કરી પ્રેરણા પૂરી પાડતી ગૃહિણી

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય ગૃહિણી શિલ્પાબેન શેલતે પર્યાવરણ પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાના ઘરના ૧૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારને માત્ર બગીચો જ નહીં, પરંતુ પક્ષીઓ માટે એક સુંદર ઉપવન બનાવી દીધું છે. તેમના ગાર્ડનમાં સીતાફળ, જમરૂખ, કેળા અને પપૈયા જેવા ફળઉદ્યાન સાથે રાતરાણી, બ્રહ્મકમળ અને ગુલાબ જેવા અનેક ફૂલોની ભરમાર છે. કોંક્રિટના જંગલ ગણાતા શહેરમાં તેમનું આ નાનકડું ગાર્ડન પક્ષીઓ અને ખિસકોલીઓ માટે એક કુદરતી નજરાણું બની ગયું છે.

અબોલા જીવો માટે દાણા-પાણીની અનોખી સેવા

શિલ્પાબેન દરરોજ પક્ષીઓ માટે એક કિલો જેટલા ઝીણા દાણા અને પીવા માટે ઠેર-ઠેર પાણીના કુંડા મૂકે છે. આ સેવાભાવને કારણે તેમના આંગણે ચકલી, કાબર, કોયલ, પોપટ અને સનબર્ડ જેવા પક્ષીઓનો મધુર કલરવ ગુંજતો રહે છે. પક્ષીઓની સાથે ખિસકોલીઓ અને ક્યારેક વાંદરાઓ પણ ફળ તેમજ પાણી માટે અહીં આશ્રય લે છે. શિલ્પાબેન માને છે કે આ ઝાડ-પાન તેમના પોતાના કરતા પક્ષીઓ માટે વધુ છે, અને પક્ષીઓના કલરવથી દિવસની શરૂઆત થવી એ જ તેમના માટે સૌથી મોટી ખુશી છે.

Vadodara Woman Bird Friendly Garden Inspiration 2.png

- Advertisement -

ઓર્ગેનિક ખેતી અને શુભ પ્રસંગોમાં પર્યાવરણલક્ષી ભેટ

બાળપણથી જ ગાર્ડનિંગનો શોખ ધરાવતા શિલ્પાબેન પોતાના બગીચાને હરિયાળો રાખવા માટે દર ત્રણ મહિને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે, જેથી કાળઝાળ ઉનાળામાં પણ હરિયાળી જળવાઈ રહે છે. તેઓ અન્ય લોકોને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે શુભ પ્રસંગોમાં ફૂલના કુંડા અને ‘બર્ડ ફીડર’ ભેટમાં આપે છે. આ ઉપરાંત, તેઓ વિવિધ છોડના બીજ (સીડ્સ) એકઠા કરી અન્ય ગાર્ડન પ્રેમીઓ સાથે તેની આપ-લે પણ કરે છે. તેમનું આ કાર્ય સમાજને પ્રકૃતિ સાથે જોડવા માટે પ્રેરણારૂપ છે.

Vadodara Woman Bird Friendly Garden Inspiration 1.png

- Advertisement -

નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને પક્ષીઓ પ્રત્યેની સંવેદના

નિવૃત્ત જીવનને સાર્થક બનાવવા માટે શિલ્પાબેન રસોઈના ઓર્ડર લેવા જેવી પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે, પરંતુ તેમનો મુખ્ય લગાવ પશુ-પક્ષીઓ પ્રત્યેની સંવેદનામાં છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારે તેઓ દરેક નાગરિકને અપીલ કરે છે કે જો દરેક વ્યક્તિ પોતાના ઘરના નાના ખૂણે પણ પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવે તો શહેરને વધુ હરિયાળું અને જીવંત બનાવી શકાય. જીવદયા અને પર્યાવરણ જતનનો તેમનો આ વિચાર આજના ભાગદોડ ભર્યા જીવનમાં શાંતિ અને સંતોષ આપનારો છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.