પાકિસ્તાન કોસ્ટગાર્ડના હાથે પકડાઈ ગયેલા ગુજરાતના 184 માછીમારોને પાકિસ્તાને મુક્ત કરતા તમામ માછીમારો આજે વહેલી સવારે પાંચ વાગ્યે અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનમાં વતન ગુજરાત આવી પહોંચતા વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ દ્વારા માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરત ફરેલા માછીમારોમાં કોઇ 3 વર્ષથી તો કોઇ 5 વર્ષથી કરાચી જેલમાં બંધ હતા તેઓએ જણાવ્યું કે પાકિસ્તાનની જેલમાં ખૂબ જ યાતનાઓનો આપવામાં આવતી હતી અને સમયસર જમવાનું નહોતુ મળતું.
પાકિસ્તાનની જેલમાં જીવવુ ખૂબ જ મુશ્કેલ છે. ઘરવાળાની ચિંતા અને બાળકોના વિયોગ વચ્ચે પાકિસ્તાની પોલીસનો માર સહન કરવો પડતો હતો.
રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 184 જેટલા માછીમાર ભાઇઓ પાકિસ્તાનના જેલમાં કેદ હતા. તેઓને ભારત સરકારના પ્રયાસોથી ભારતીય માછીમારોનો છુટકારો થયો અને વાઘા બોર્ડરથી આજે વતન પરત લાવવામાં આવ્યા છે. ગુજરાતની સાથે સાથે આંધ્રપ્રદેશ, દીવ અને ગોવાના માછીમારોની પણ મુક્તિ થઇ છે. આજે તમામ માછીમારોને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા અને જ્યાં માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને બસ મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા છે.