કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ખેડાની કોર્ટમાં જાપ્તા સાથે હાજર કરાયા બાદ
ખેડાથી વડોદરા પરત ફરતી વખતે સમા-સાવલી રોડ ઉપર બુટલેગરને છાતીમાં દુઃખાવો ઉપડતા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તબીબોના મત મુજબ હ્રદય રોગનો હુમલો આવવાના કારણે મોત બુટલેગરનુ મોત નીપજ્યું છે.
જૂનાગઢના માથાભારે બુટલેગર નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી) સામે ગુજરાતના અનેક શહેરોમાં 31 કરતા વધુ ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી ખેડા જિલ્લામાં પણ તેની સામે ગુનાઓ નોંધાયેલા હોય જે ગુના હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કડક જાપ્તા સાથે ખેડા કોર્ટમાં હાજર કરાયો હતો જ્યાંથી વડોદરા પરત ફરતી વખતે નાગદાન ગઢવીને એટેક આવતા મોત થયું હતું.
મહત્વનું છે કે હજુ થોડા સમય પહેલા જ નાગદાન ગઢવીની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની પાસેથી મળેલી એક ડાયરીમાં વડોદરા અને મધ્ય ગુજરાતના લિસ્ટેડ બુટલેગર વિનોદ સિંધી સાથેના રૂપિયા 45 કરોડના આર્થિક વ્યવહારની ચિઠ્ઠી મળી આવી હતી.
બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને તેણે ગુજરાતમાં ફેલાવેલા દારૂના નેટવર્કને લગતી અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
પોલીસને નાગદાન ગઢવીના મોબાઇલ ફોનમાંથી દારૂના ધંધા સાથે જોડાયેલા સ્થાનિક બુટલેગરો સાથેની વાતચીતનું રેકોર્ડીંગ પણ મળ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ ગુરૂગ્રામથી ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા બાદ વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.