વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતેના દરબાર હોલમાં મહારાજા રણજિતસિંહ ગાયકવાડ કલા ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે, બે દિવસના કલા ઉત્સવમાં ભારતના સંગીત, ગાયકીના દિગ્ગજ કલાકારો પર્ફોર્મન્સ આપશે.
મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ અને મહારાજા રણજિતસિંહ ગાયકવાડ ચેરિટીઝના સહયોગથી મહારાણી રાધિકા રાજે ગાયકવાડ આ કલાઉત્સવ અંતર્ગત ભારતીય કલાના ઉત્તમ કલાકારોને સન્માનિત કરવાની પરંપરા આગળ ધપાવી રહ્યાં છે.
આ કાર્યક્રમ અંતર્ગત વિઝ્યુઅલ આર્ટ્સમાં ઉત્કૃષ્ટતા માટેનો રાજા રવિ વર્મા એવોર્ડ ફોર એક્સિલન્સ જ્યોતીન્દ્ર ભટ્ટને અને સંગીત ક્ષેત્રના પ્રદાન માટે ઉસ્તાદ ફૈયાઝખાન એવોર્ડ પૂણેના મંજૂષા પાટીલને એનાયત કરવામાં આવશે.
આ બંને દિવસો પૈકી આજે તા. 4 જાન્યુઆરીએ સાંજે દરબાર હોલ ખાતે કબીર ભક્તિ ગીતોના ગાયિકા શબનમ વિરમાની, મંજૂષા પાટીલ હાર્મોનિયમ પ્લેયર સુયોગ કુંડાલકરની પ્રસ્તુતિ થશે.
જ્યારે 5મી જાન્યુઆરીએ કલા ઉત્સવ અંતર્ગત સાંજે તબલા વાદક પ્રશાંત પાંડવ, વાયોલિનિસ્ટ અને પદ્મભૂષણ ડો.એન. રાજમ કથક નૃત્યકાર કુમાર શર્મા દ્વારા પ્રસ્તુતિ થશે.
ઉલ્લેખનીય છે કે, આ બંને કાર્યક્રમો આમંત્રિતો માટે છે. જ્યારે આ કલા મહોત્સવનું એક વિશેષ આયોજન રીની ઘુમાળ ચિત્રોનું પ્રદર્શન ‘શક્તિ’ છે. હાથીહોલ ખાતે આ કલા પ્રદર્શન યોજાશે.