બરોડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી રાતે સયાજીપાર્ક સોસાયટીનાં એક ઘરની અગાશીમાં સુતેલા માતા અને પુત્રીની અજાણ્યા શખ્શોએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. આ મામલામાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં બાપોદ વિસ્તારમાં આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં માતા પુત્રીની હત્યા થઇ છે. આ માતા પુત્રી ગઇકાલે એટલે બુધવારે તેમના ઘરની અગાશી પર સુતેલા હતાં. ત્યારે વહેલી સવારે 3.30 કલાકની આસપાસ કેટલાક શખ્શો બેઝબોલનું બેટ લઇને આવ્યાં હતાં. જેનાથી માતા-પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ બંન્નેનાં મોત નીપજ્યા હતાં. હાલ પોલીસે આ બંન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ ગયા છે.
પોલીસે સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, પુત્રીના લગ્ન થઇ ગયા છે, અને તે પિયરમાં રહેવા આવી હતી. ત્યારે આજે આ ગમખ્વાર ઘટના બની હતી. પોલીસની આ ઘટનામાં પ્રેમ પ્રકરણની આશંકાના પગલે તે દિશામાં કાર્યવાહી આરંભી છે.બાપોદ પોલીસ હાલ ઘરની આસપાસ રહેતા પાડોશી અને પરિવારની પૂછપરછ કરી રહી છે. હાલ આ હત્યાનું કારણ અકબંધ છે.