સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ ગરમી પડવાની થયેલી આગાહીની અસર જોવા મળી હતી અને વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી થઈ જતા અનેક લોકો અસરગ્રસ્ત બન્યા હતા અને તે પૈકી એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે.સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા દિવ્યાંગ કર્મચારીનું અતિશય ગરમીના કારણે ઘરે ગભરામણ થયા બાદ મોત થતાં પરિવારે ગરમીને કારણે મૃત્યુ થયું હોવાની શંકા વ્યક્ત કરી છે.
દંતેશ્વર બજરંગ નગરમાં રહેતા 36 વર્ષીય રાજુભાઇ રાઠવા કે જેઓ સયાજી હોસ્પિટલમાં કેસ બારી પર ફરજ બજાવતા હતા.
દરમિયાન રાજુભાઈને શનિવારે સવારે ઘરમાં ગભરામણ થતાં તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
અન્ય ઘટનામાં દાંડિયાબજાર બ્રિજ પાસે બીએસએનએલની ઓફિસ નજીક એક વ્યક્તિને ચક્કર આવતાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેને 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શહેરમાં ભારે ગરમીના કારણે ચક્કર આવવા, ગભરામણ, બ્લડપ્રેશર સહિતના 30 જેટલા કોલ મળતા 108 આખો દિવસ દોડતી રહી છે.
આખો દિવસ સૂકા પવનો ચાલુ રહેતાં ચોથા દિવસે પારો 43 ડિગ્રી સુધી નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે પારો 42 ડિગ્રી સુધી રહેશે. શનિવારે મહત્તમ 43 ડિગ્રી, લઘુતમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું. પશ્ચિમની દિશાથી 11 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
રેલવે સ્ટેશન પર સવારે 11 વાગ્યે જમ્મુથી આવી રહેલી ટ્રેનમાં એક બાળકને ગભરામણ થતાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે અન્ય એક ટ્રેનમાં બે વ્યક્તિઓને ગભરામણ અને ઊલટી થતાં વડોદરા સ્ટેશન પર સારવાર આપવામાં આવી હતી.
ગરમી વધતાં પશુ-પક્ષીઓને પણ અસર થઈ રહી છે.
કૂતરાંમાં હીટ સ્ટ્રોકના બનાવ બન્યા છે અને બે દિવસ પહેલાં જ એક કૂતરાંનું હીટ સ્ટ્રોકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.