વડોદરામાં દર વખતે ચોમાસુ શરૂ થતાંજ મગર નદી બહારથી નીકળી રહેણાંક વિસ્તારમાં આવી જવાના બનાવો વધી જાય છે.
ચાલુ વર્ષે તા.1 જુલાઇથી 24 જુલાઇ સુધી 36 જેટલા મગર રેસ્ક્યૂ કરી નદીમાં છોડી મુકવામાં આવ્યા છે જોકે,મગર સાથે સાથે અન્ય 377 વન્યજીવોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે
જેમાં વિવિધ જાતના સર્પ પણ છે.
આવા સર્પમાં સ્કેલ્ડ વાઇપર, રસેલ વાઇપર, આંધળી ચાકળ, ચેકર્ડ સહિતના રૂપસુંદરી વિવિધ સાપોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
જોકે હવે લોકોમાં જાગૃતિ આવી છે તેથી અત્યારની નવી પેઢી પાસે વન વિભાગના નંબર હોવાથી સાપ કે કોઇ વન્યજીવ તેમના વિસ્તારમાં નીકળી આવે ત્યારે લોકો તેમનો સંપર્ક કરે છે અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને વન્યજીવોનું સલામત રીતે રેસ્ક્યૂ કરે છે.
મહી નદી અને વિશ્વામિત્રી નદી તેમજ ગ્રીન બેલ્ટને કારણે વડોદરામાં સરીસૃપોને અનુકૂળ વાતાવરણ મળે છે તેથી અમદાવાદ અને સુરત કરતાં વડોદરામાં સૌથી વધુ વિવિધ સાપ રહે છે, વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. જોકે, સાપ ચોમાસામાં અને ઉનાળામાં પોતાના દર બહાર જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે.
હમણાં સુધી વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં બહાર નીકળી આવેલા 1 ફૂટથી લઇને 15 ફૂટ સુધી મગરોના રેસ્ક્યૂ કર્યાં છે. 5થી 6 ફૂટનો મગર એક માણસ પકડી શકે, પણ જો, 10થી 15 ફૂટનો મહાકાય મગર હોય તો 8થી 10 કાર્યકરોની જરૂર પડી શકે છે.
વડોદરા શહેરમાંથી 17 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે 1000 મગર છે
મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે બેસે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
આમ,વડોદરામાં મગર તેમજ વિવિધ સાપ ચોમાસુ આવતા જ રહેણાંક વિસ્તારમાં નીકળી રહયા છે અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે.