વડોદરામાં ફરી કોમી ભડકો થયો છે અને બપોરે તોફાન થયા બાદ સાંજે નીકળેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર ફરી પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડની ઘટના બનતા LRDના 500 જવાનો તેમજ SRPની વધુ બે ટીમો ખડકી દેવાઈ છે અને ભાજપના અગ્રણીઓએ તોફાનીઓ સામે પગલાં ભરવા પોલીસ કમિશનરને રજુઆત કરી છે.
વડોદરામાં બપોરના સમયે ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયા બાદ સાંજના સમયે ફરી કુંભારવાડામાં નીકળેલી રામજીની બીજી શોભાયાત્રા પર પણ ફરી પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરતા લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે, આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે.
ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈસમો સાથે કડક હાથે કામ લેવા માંગ ઉઠવા પામી છે.
ભાજપા અગ્રણીઓએ આ અંગે પોલીસ કમિશનરને રજુઆત કરી કડક હાથે તોફાનોને ડામી દેવા માટે તાકીદ કરી છે. આ સાથે શહેરમાં કોમી રમખાણો શરૂ થતાં વધુ પોલીસ જવાનો તેમજ પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઇ રહેલા LRDના 500 જવાનો તેમજ SRPની વધુ બે કંપનીઓ સાથે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ફતેપુરા બપોરે પાંજરીગર મહોલ્લા પાસે ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયા બાદ સાંજના સમયે ફરી ફતેપુરા કુંભારવાડા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતા મેયર નિલેશ રાઠોડ, શહેર ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ ફતેપુરા રોડ ઉપર પહોંચ્યા હતા ભાજપાના અગ્રણીઓની સાથે શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ પણ સ્થળ ઉપર ધસી ગયા હતા.
ભાજપા અગ્રણીઓએ પોલીસ કમિશનરને કડક હાથે તોફાનોને ડામી દેવા માટે રજુઆત કરી હતી.
જોકે,ફતેપુરા ચાર રસ્તા વિસ્તારના તમામ બજારો બપોર બાદ બંધ થઈ ગયા હતા.
વડોદરાના શહેરના સંવેદનશિલ વિસ્તારો પાણીગેટ, જુનીગઢી, મચ્છીપીઠ, વાડી સહિતના વિસ્તારોમાં ઘનિષ્ઠ પેટ્રોલીંગ શરૂ કરાયું છે.
આમ,આજે રામ નવમી ઉપર ભગવાન રામજીની બે શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરી શાંતિ ડહોળનાર ઈસમો સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.