વડોદરામાં ગતરોજ રામનવમીની શોભાયાત્રા ઉપર બબ્બે વખત પથ્થરમારો કરી કોમી રમખાણ ઉભું કરનાર ઈસમો સામે પોલીસે આખરે લાલઆંખ કરી છે અને 23 ઈસમો સામે સિટી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં તોફાનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટના સંદર્ભે 23 લોકો સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જાતે ફરિયાદી બની પથ્થરમારો અને તોડફોડ કરનારા ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
દરમિયાન આજે બીજા દિવસે પોલીસ બંદોબસ્ત હોય શાંતિ જણાતા બજારોમાં દુકાનો પણ રાબેતા મુજબ ખુલી હતી.
ગતરોજ રામ નવમીના પાવન પર્વ ઉપર બનેલી આ ગંભીર ઘટનાને ધ્યાને લઇ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવા આપેલી સુચના બાદ પોલીસે પથ્થરમારો કરનારાઓ તત્વો સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.
નોંધનીય છે કે વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ બાદ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને ભરૂચ તેમજ ખેડાથી વધુ પોલીસ કાફલો બોલાવાયો હતો.
ગતરોજ વડોદરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી ભગવાન રામજીની શોભાયાત્રા પર બપોરે 1:30 વાગ્યાની આસપાસ ફતેપુરા વિસ્તારમાં આવેલા પાંજરીગર મહોલ્લામાં પથ્થરમારો થયો હતો અને આ ઘટના બાદ માત્ર 4 કલાક પછી ફતેપુરાના કુંભારવાડામાંથી નીકળેલી બીજી શોભાયાત્રા પર ફરીથી સાંજે 5:42 કલાકે પથ્થરમારો થયો હતો.
કુંભારવાડામાંથી 5:38 કલાકે શોભાયાત્રા નીકળી હતી અને માત્ર ચાર મિનિટમાં જ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. પહેલી શોભાયાત્રા પછી બીજી શોભાયાત્રા પર પથ્થરમારો થવાની ઘટનાને ગંભીર ગણી જવાબદાર તત્વો સામે પગલાં ભરવા આદેશ થતા કાર્યવાહી શરૂ થઈ છે.
વડોદરામાં થયેલા તોફાનો પૂર્વયોજીત હોવાની આશંકા સેવાઇ રહી છે.જેને કારણે પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો છે