આજે રામનવમી પર્વની દેશભરમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરામાં પણ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નીકળેલી શોભાયાત્રા ઉપર ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે એકાએક પથ્થરમારો શરૂ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તોફાની ટોળાઓ દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકાથી રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગઈ હતી.
ઘટનાની જાણ થતાંજ પોલીસ સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી જોકે, ફતેપુરા વિસ્તારમાં ભારે તંગદિલી જોવા મળી હતી.
વિશ્વ હિંદુ પરિષદના અગ્રણીઓનું કહેવું હતું કે શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ રહી હતી. એ સમયે પાંજરીગર મહોલ્લામાંથી પથ્થરમારો શરૂ થયો હતો.
જો વીએચપીના કાર્યકરોની આ બનાવમાં ધરપકડ કરવામાં આવશે તો વડોદરા ભડકે બળશે એવી ચીમકી ઉચ્ચારી હતી. ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની વાત વાયુવેગે વડોદરા શહેરમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી
વડોદરાના ફતેપુરા વિસ્તારમાં જે સ્થળે રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો તે સ્થળેથી ફરીથી શોભાયાત્રા કાઢવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચ્યા હતા. આ સમયે ફરી બે ટોળા સામસામે આવી જતા પોલીસે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડવા બંદોબસ્ત ગોઠવી દીધો હતો.