આજકાલ દરેક ખાદ્ય વસ્તુઓ ડુપ્લિકેટ થઈ ગઈ છે,કાળા માથાનો માનવીજ બે પૈસાની લાલચે માનવ જાતનો જાણે વિનાશ કરવા ક્રૂર બન્યો છે.
આજકાલ નકલી દૂધ,નકલી દહીં-છાશ,નકલી ઘી, નકલી પનીર,બટર તેમજ મરચું,હળદર,લોટ દરેક પ્રકારની ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવટી થઈ ગઈ છે અને પુરા પૈસા ખર્ચીને પણ શુદ્ધ વસ્તુ મળતી નથી,પરિણામે કેન્સર, ડાયાબીટીસ,હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનો લોકો શિકાર બની રહયા છે આ બધા વચ્ચે વડોદરાથી ચોંકાવનારા અહેવાલ સામે આવી રહયા છે.
વડોદરામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી રોજવહેલી સવારે 7 હજાર કિલો ભેળસેળવાળું પનીર આવતુ હોવાનો સનખેજ આક્ષેપ વડોદરા ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો છે.
વડોદરા ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશને પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાને પણ આ અંગે ધ્યાન દોરી લોકોના સ્વાસ્થ સાથે થઈ રહેલા ચેડાં રોકવા સબંધિત વિભાગમાં રજૂઆત કરવા જણાવ્યું છે.
વડોદરા ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશને દાવા સાથે ભાર પૂર્વક જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજના 10 હજાર કિલો પનીરનું વેચાણ થાય છે તે પૈકી 7 હજાર કિલો પનીર વડોદરાની બહારથી આવે છે. રોજ વહેલી સવારે પનીર વડોદરા શહેરમાં આવે છે. જે કોઇપણ પ્રકારના ચેકિંગ વગર જ હોટલ અને કેટરીંગમાં વપરાય છે.
આ બનાવટી પનીરનો જથ્થો રોજ બસ અને ટ્રેન દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટમાંથી વડોદરા શહેરમાં આવે છે.
વડોદરાની બહારથી જે પનીર આવે છે તે ભેળસેળવાળુ હોય છે. લોકોના આરોગ્ય સાથે જે લોકો ચેડા કરે તેની સામે કાર્યવાહી થવી જોઇએ.
બીજુ કે જે ભેળસેળવાળુ પનીર હોય છે, તેમાં દૂધ હોતુ જ નથી, તેમાં કેમિકલ વાપરવામાં આવે છે.
આ ઉપરાંત પામ ઓઇલ વાપરવામાં આવે છે. જે હેલ્થ માટે હાનિકારક છે.
FSSI પ્રમાણે દૂધમાંથી જ પનીર બનવુ જોઇએ. જેમાં લો ફેટ જે દોઢ ફેટનું હોય છે, મીડિયમ ફેટ જે 3 ફેટનું હોય છે અને મલાઇ પનીર એ 5 ફેટનું હોય છે.
જોકે,છેલ્લા ઘણાજ સમયથી ડુપ્લીકેટ પનીર લોકો ખાઈ રહયા છે જે અખાદ્ય હોય છે.