રાજ્યમાં વડોદરામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હવે ભારે વરસાદ થવાની આગાહીને પગલે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ પૂરની સ્થિતી સર્જાય તેવી શક્યતાઓ ઉભી થતા પુર આવે તે પહેલાં તકેદારી રાખવા માટે તંત્ર સ્ટેન્ડબાય છે અને વિશ્વમિત્રી નદીમાં પૂરની સ્થિતી દરમિયાન જુદાજુદા બ્રિજ ઉપર પાણીનું લેવલ કેટલું છે તે જાણવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા 10 વોટર લેવલ સેન્સર મૂકવામાં આવ્યા છે. આ ઓટોમેટિક વોટર લેવલ સિસ્ટમથી જળ સ્તર જાણી શકાશે.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વિશ્વામિત્રી નદીની જળ સપાટી માપવા માટે ત્રણ વર્ષ પહેલાં વોટર લેવલ સેન્સર લગાવવામાં આવ્યા હતા. અગાઉ જૂની પદ્ધતિથી પાણીનું લેવલ માપવામાં આવતું હતું. હવે જુની પદ્ધતિના બદલે નવી સિસ્ટમ અપનાવવામાં આવી છે. જેથી વિશ્વામિત્રીમાં જળસ્તરની સચોટ માહિતી ઓટોમેટિક સિસ્ટમથી મળી શકશે. પાલિકાના કંટ્રોલ રૂમ સહિત અધિકારીઓના મોબાઇલ પર પાણીના જળસ્તરની રજેરજ માહિતી આ સિસ્ટમથી મળી રહેશે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે પણ પાણી વધે છે ત્યારે અગાઉ અને હાલ પરંપરાગત પદ્ધતિથી નોંધણી કરવામાં આવે છે.
વિશ્વામિત્રી નદી ઉપર આવેલા કાલાઘોડા સહિત અન્ય સ્થળો પર માપણી રેખાંકિત કરવામાં આવેલી છે. જોકે હવે નવી ટેકનોલોજીની મદદથી સેન્સર પદ્ધતિથી પાણીનું સ્તર જાણી શકાય છે. આજવા સરોવર, કાલાઘોડા બ્રિજ અકોટા બ્રિજ, આસોજ ફીડર, મુજ મહુડા બ્રિજ, નરહરિ બ્રીજ પ્રતાપ નગર ડેમ રાત્રી બજાર બ્રિજ સમા હરણી બ્રિજ સહિત 10 સ્થળે સિસ્ટમ કાર્યરત કરી તંત્ર નજર રાખી રહ્યું છે.
હાલમાં પણ વડોદરા સહિત ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ છે ત્યારે આગામી સમયમાં વિશ્વામિત્રી નદીમાં પાણી વધવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે તંત્ર એલર્ટ થઈ ગયું છે.