વડોદરામાં વિશ્વામિત્રી નદીના કોતરોમાં લાગેલી આગનો અગન ગોળો કાશીબા ચિલ્ડ઼્રન હોસ્પિટલ ઉપર પડતા ભારે ભાગદોડ મચી હતી અને સારવાર લઈ રહેલા બાળકોને સલામત સ્થળે લઈ જવાયા હતા,જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
વડોદરાના બાલ ભવન નજીક વિશ્વામિત્રી નદીના કોતરોમાં આજે સાંજના સમયે સૂકા કચરામાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગ નજીકના વિસ્તારમાં પ્રસરી છેક કાશીબા ચિલ્ડ઼્રન હોસ્પિટલ સુધી પહોંચી હતી અને આગમાં સળગતો કચરો અગનગોળો બનીને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની છત પર જઈને પડતા હોસ્પિટલમાં લગાવેલું એલાર્મ ઓટોમેટિક એક્ટિવ થઈ વાગવા મંડતા ભારે અફરાતફરી મચી હતી અને હોસ્પિટલમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળ બાળ દર્દીઓને તુરંત જ હોસ્પિટલની બહાર સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા અને હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓના સગાઓ પણ હોસ્પિટલની બહાર દોડી આવ્યા હતા.
હોસ્પિટલમાં આ સમયે 200થીવધુ લોકો હાજર હતા જેઓ ભયભીત થઈ ગયા હતા અને ભગમભાગ મચી હતી
બીજી તરફ આગના ધુમાડાઓ 3થી 4 કિમી દૂર સુધી દેખાયા હતા પરિણામે લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
લોકોએ આ અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને માંડ માંડ આગને કાબુમાં લીધી હતી.