વડોદરાના ગોત્રી વિસ્તારમાં વ્યાજખોર ભરવાડ ત્રિપુટી સાજન ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને સુરેશ ભરવાડના ત્રાસથી એક સપ્તાહ પૂર્વે વ્યાજખોરો સુસાઇડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી લેનાર ચેતનભાઇ વાળંદનું ગોત્રી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા ચકચાર મચી છે.
આ બનાવ અંગે ગોત્રી પોલીસે વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પિતાનું મોત નીપજતાં પુત્રએ વ્યાજખોર ભરવાડ ત્રિપુટીની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા અને સજા આપવા માંગણી કરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર-1માં રહેતા ચેતનભાઇ વાળંદે એક સપ્તાહ અગાઉ વ્યાજખોરોના ત્રાસથી કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ હતી તેઓએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેઓએ વ્યાજખોરો સાજન ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને સુરેશ ભરવાડને મૂડી કરતા વધુ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં મરવા માટે મજબૂર કરતા હોવાની વાત લખી હતી.
ચેતનભાઇએ સુસાઇડ નોટમાં લખ્યું હતું, મને મરવા માટે મજબૂર કરનાર સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પૈસા દબાવી અને પોલીસ પાસે ફોન કરાવીને તમારી અરજીનો જવાબ આપવા આવો છો. મારી અરજી પાર્વતીબેન પેલા આયા હતા. મારા મકાનના કાગળ તેની પાસે છે. મેં 26 એપ્રિલે સાજન ભરવાડ સામે ગોત્રીમાં અરજી આપી છે. આ લોકો મને મરવા માટે મજબૂર કરે છે, હું દવા પીને મરુ છું.
ચેતનભાઇ વાળંદે સુશ્યાઇટ નોટ લખ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનો તેઓને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલમાં છ દિવસની ઘનિષ્ઠ સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું હતું
વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેનાર ચેતનભાઇના પુત્ર વિશાલ વાળંદે જણાવ્યું હતું કે, 2018માં મારા પિતા ચેતનભાઇએ સાજન ભરવાડ પાસેથી 3.90 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને 10 ટકા વ્યાજ સાથે મારા પિતાએ રૂપિયા પરત કરી દીધા હતા. તેમ છતાં મારા પપ્પા દબાણ કરીને હેરાન કરે છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર ફોન આવે છે કે, તમે આવી જાઓ, તમે નહીં આવો તો ગુનો દાખલ થશે. તમારા આટલા રૂપિયા બાકી છે. આ રીતે અવારનવાર ફોન કરીને ધાકધમકી આપતા હતા.
મારા પપ્પાએ 3.90 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે 9 લાખ રૂપિયા ચુકવી દીધા છે. તમામ રૂપિયા ચુકવી દીધા છે. તેમ છતાં આ લોકો વધારે રૂપિયાની માંગણી કરીને મારા પિતાને દમદાટી આપતા હતા. વડોદરામાં નહીં રહેવા દઇએ, ટાંટીયા ભાંગી નાખીશું, એવી ધમકીઓ આપીને હેરાનગતિ કરતા હતા.
તેણે કહ્યું કે વ્યાજખોરો દ્વારા આપવામાં આવી રહેલા ત્રાસથી ત્રસ્ત થઇ મારા પિતાએ કપાસમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી. આજે છ દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મારા મોત માટે વ્યાજખોર સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ છે. હાલ ત્રણે ફરાર છે. તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેઓની કડકમાંકડક સજા થતાય તેવી મારી માંગ છે તેમ મૃતકના પુત્રએ જણાવ્યું હતું.