હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે માર્કેટમાં કેરી અને કેરીના રસની લોકો મજા લઈ રહયા છે તો બીજી તરફ ભેળસેળ અને અખાદ્ય જથ્થાનું પણ વેચાણ થઈ રહ્યું છે અને કલરની ચાસણીની મિલાવટ પણ જોવા મળી રહી છે.
આવા સંજોગોમાં વડોદરામાં મનપાની આરોગ્ય ટીમે કેટલોક અખાદ્ય જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો હતો.
વિગતો મુજબ વડોદરા મહાનગરપાલિકાની ખોરાકી શાખાની ટીમે આયુર્વેદિક ત્રણ રસ્તા, આજવા રોડ, વાઘોડિયા રોડ, છાણી ગામ, ડિંગ ડોંગ ચોકડી, સમા સહિતના વિસ્તારમાં 15 જેટલા કેરીના રસ અને શેરડીના તંબુમાં ચેકિંગ કર્યું હતું. જેમાંથી તેઓને 480 કિલો કેરીના રસનો અખાદ્ય મળી આવ્યો હતો. જ્યારે 120 કિલો કલરવાળી ચાસણી અને 20 કિલો અખાદ્ય ફળોનો જથ્થો મળતાં તેનો નાશ કર્યો હતો.
આમ,કેરીના તૈયાર રસ કરતા કાચી કેરીને ઘરેજ પકવી રસ ખાવો આરોગ્ય માટે સેફ રહેશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફળોનો રાજા એવી કેરી ખાવાના અનેક ફાયદા છે કેરીના રસમાં પોટેશિયમ જોવા મળે છે જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કેરીનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર દબાણ નથી પડતું. જેના કારણે તમને સ્ટ્રોક, હાર્ટ એટેક અને અન્ય બીમારીઓ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. કેરીમાં વિટામિન સી વધુ પ્રમાણમાં મળી આવે છે તેથી તે આરોગ્યવર્ધક છે પણ જો ભેળસેળ વાળો રસ કે કાર્બનથી પરાણે પકવેલી કેરી આરોગ્ય માટે નુકસાનકારક છે.