વડોદરા નજીક મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 5 યુવાન ડૂબી ગયા છે, જેમાં વડોદરા નજીક સિંઘરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાન અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાન ડૂબી ગયા હતા. આ બનાવોની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતાં લાશ્કોરની અલગ-અલગ ટીમો પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી, જેમાં ફાયરબ્રિગેડને બે યુવકના મૃતદેહ મળ્યા છે. તો હજુ 3 યુવાનની શોધખોળ ચાલુ છે.
વિગતો મુજબ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ માછી (ઉં.વ.23)ના ઘરે દશામાની સ્થાપના કરી હતી અને માતાજીની ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ પરિવાર સાથે વડોદરા નજીક સિંઘરોટ મહી નદી ઉપરના ચેકડેમ પાસે વિસર્જન કરવા માટે ગયા હતા ત્યારે તેમની સાથે કિશનવાડીમાં જ રહેતો હોમગાર્ડમાં ફરજ બજાવતો 24 વર્ષીય સાગર જગદીશભાઇ કુરી પણ ગયો હતો.
દરમિયાન ધસમસતા મહી નદીના પાણીમાં પ્રજ્ઞેશ માછી તણાવા લાગ્યો હતો. પ્રજ્ઞેશે બચાવવા માટે બૂમો પાડતાં તેનો મિત્ર સાગર કુરી પાણીમાં કૂદી પડ્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે પણ તણાવા લાગ્યો હતો અને જોતજોતાંમાં બંને મિત્રો લાપત્તા થઇ ગયા હતા
કિશનવાડીમાં રહેતા પ્રજ્ઞેશ માછી અને સાગર કુરી મહી નદીમાં ડૂબી જવાથી નદી કિનારે પરિવારજનો રુદન કરવા લાગ્યા હતા.
આ બનાવની જાણ પોલીસને થતાં તે પણ સ્થળ પર દોડી ગઇ હતી. બન્ને યુવકની શોધખોળમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
જ્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાન સંજય પૂનમભાઇ ગોહિલ (ઉં.વ. 32), કૌશિક અરવિંદભાઇ ગોહિલ (ઉં.વ. 20) અને વિશાલ રતિલાલ ગોહિલ (ઉં.વ.15) આજે વહેલી સવારે પરિવારજનો સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં ગયા હતા
જ્યાં એક પછી એક ત્રણે યુવાને એક-બીજાને બચાવવા જતાં ડૂબી જતા લાપત્તા થયા હતા. એક જ ગામના ત્રણ યુવાન એકસાથી ડૂબી જતાં રણછોડપુરા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો.
ગામના લોકો નદી કિનારે દોડી આવ્યા હતા. તો બીજી બાજુ નદી કિનારે ત્રણે યુવાનોનાં પરિવારજનોના આંક્રદે ગમગીની ફેલાવી દીધી હતી.
રણછોડપુરા ગામના ત્રણ યુવાન ડૂબ્યા હોવાની જાણ થતાં સાવલી મામલતદાર સહિત પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી.
સાવલી પોલીસે મળી આવેલા સંજયના મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.