વડોદરા મહાનગર સેવા સદનની ઢોર પાર્ટી દ્વારા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોને પકડવાના અભિયાન અંતર્ગત ગાયો પકડવામાં આવે છે પણ યોગ્ય સુવિધાઓને અભાવે આવી પકડેલી ગાયોની સ્થિતિ ઉનાળાની કાળઝાળ ગરમીમાં બદતર બની છે,આવી સ્થિતીમાં એક ગાયનું મોત થતા તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.
શહેરમાં રખડતી ગાયોને પકડીને વડોદરા નજીક ખટંબા ગામ ખાતે આવેલા ઢોરડબ્બા સહિત વડોદરાના ખાસવાડી અથવા તો લાલબાગ ખાતેના ઢોરડબ્બામાં રાખવામાં આવે છે.
આ પાંજરાપોળમાં સુવિધાના અભાવના કારણે ગાયોની હાલત દયનીય બની ગઇ છે,ગાયોને લીલો-સુકો ઘાસચારો સમયસર ન મળવાના કારણે મોતને ભેટી રહી છે અને ગાયો મોતને ભેંટ્યા પછી પણ સમયસર તેનો નિકાલ કરવામાં આવતો નહી હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
વિગતો મુજબ ખંટબા સ્થિત પાંજરા પોળમાં એક ગાયનું મોત નીપજ્યું હતું અને ગાય બપોરની કાળઝાળ ગરમીમાં કલાકોથી મૃત અવસ્થામાં પડી રહી હતી. મૃત ગાયની આજુબાજુ અન્ય ગાયો ફરી રહી હતી.
આગ ઝરતી ગરમીમાં તડકામાં ગાયોની હાલત બદતર જોવા મળી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગાયોની દેખભાળ રાખવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને ગાયની દેખભાળ માટે 10 જેટલા માણસો ગાયોની દેખરેખ રાખે છે અને 24 કલાક વેટરનીટી ડોક્ટર ઉપલબ્ધ હોય છે ત્યારે સવાલ થાય કે જો આવી વ્યવસ્થા હોય તો ગાય મૃત હાલતમાં કલાકો સુધી બિનવારસી હોય તેમ કેમ પડી રહી છે ? તે વાત અનેક સવાલો ઉભા કરે છે.
આવી સ્થિતિમાં પાલિકા જો ગાયો પકડીને લઈ જતી હોય તો પહેલા આ ગાયોના નિભાવ માટે પણ વ્યવસ્થા હોવી જરૂરી છે અન્યથા તડકો અને ભૂખ આ ગાયો માટે જીવલેણ બની રહેશે તે નક્કી છે આ માટે તંત્ર પગલાં ભરે તે જરૂરી છે.