વડોદરા શહેરમાં મનપાના પત્રિકાકાંડમાં મેયર નિલેશ સિંહ રાઠોડ સામે રૂ. 40થી 60 કરોડના ખોટા આક્ષેપો લગાવી બદનામી કરવાનો પ્રયાસ એ માત્ર નિલેશ સિંહનો નહીં પણ ક્ષત્રિય સમાજને બદનામ કરવાની હીન કોશિશ કરી હોવાની રજૂઆત ક્ષત્રિય સમાજે કરી આ પ્રકરણમાં કોની મુખ્ય ભૂમિકા છે તેની તપાસ કરવા પોલીસ કમિશનરને આવેદન આપી રજુઆત કરી હતી.
સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ‘અલ્પેશ લીંબાચિયા અગાઉ જાહેરમાં કહેતાં હતા કે હું વહીવટદાર છું.
તો સવાલ એ થઇ રહ્યો છે કે તે કોનો અને ક્યાં પ્રકારનો વહીવટ કરતાં હતા? તેની તપાસ થવી જોઈએ. તેમણે પૂર્વ મેયર અને કેયુર રોકડીયા સામે આક્ષેપો કર્યા હતા.
વધુમાં જણાવ્યું કે, મેયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર આરોપી ભાજપા કાઉન્સિલર અલ્પેશ લીમ્બચીયાની મિલકતોની તપાસ કરવા પણ માંગ કરી છે.
તેઓએ કહ્યું કે અલ્પેશ લીમ્બચીયા ખૂદ કહેતો હતો કે, હું કેયુર રોકડીયાનો વહીવટદાર છું. અને તે સાચી વાત છે અલ્પેશ લીમ્બચીયા પૂર્વ મેયરના વહીવટદાર છે.
આ બંનેના આરોપી ભાજપા કાઉન્સિલર અલ્પેશ લીમ્બચીયા અને પૂર્વ મેયર કેયુર રોકડીયાના બેંક એકાઉન્ટની તપાસ કરવા માંગણી કરી આ પત્રિકા કાંડના પડદા પાછળ પૂર્વ મેયર કેયુર રોકડીયા હોવાની વાત કરી હતી.
તેમના સાશનકાળ દરમિયાન ક્ષત્રીયોના મંદિરો દૂર કરાવ્યા છે.
પરંતુ, સરકારી જમીનો ઉપર બંધાયેલી હવેલીઓ દૂર કરી નથી.
મેયર ક્ષત્રીય હોઇ, તેમને બદનામ કરવા માટે પત્રિકા બહાર પાડવામાં આવી છે. જે ક્ષત્રીય સમાજ સાંખી લેશે નહિં તેમ જણાવી ઉમેર્યું કે આ પ્રકરણની તટસ્થ તપાસ કરવા તેમજ આ પત્રિકા કાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે. તેઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી જો અમારી માંગ સ્વિકારવામાં નહિં આવે તો ક્ષત્રીય સમાજ રસ્તા ઉપર આવતા પણ ખચકાશે નહિં તેવી ચીમકી આપી હતી.