વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં મૃતકની પત્નીએ ડુંગરા પોલીસ મથકે શંકાસ્પદ 6 અને 2 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામને ઝડપી લઈ પૂછતાછ હાથ ધરી છે.
આ ઘટનામાં વલસાડ જિલ્લાના પોલીસની જુદી જુદી 7 ટીમોએ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન મૃતક શૈલેષભાઇ પટેલના પત્ની નયનાબેન પટેલે જૂની અદાવતમાં શકમંદ 6 ઇસમો અને 2 અજાણ્યા ઈસમોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વલસાડ જિલ્લા પોલીસે નયનાબેને ફરિયાદમાં નામ જોગ જણાવેલ 6 ઇસમોની પૂછતાછ કરી પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શૈલેષભાઇ પહેલી વખત બોડીગાર્ડ વગર પરિવાર સાથે શિવ મંદિરે ગયા હતા.જ્યાં આરોપીઓ શૈલેષભાઇ એકલા હોવાની તકનો લાભ ઉઠાવી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 ગોળી વાગતા શૈલેષભાઇનું સ્થળ ઉપર જ મોત થઈ ગયું હતુ.
જૂની અંગત અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની વાત ઉપર પોલીસે તપાસ હાથ ધરી છે.