વડોદરામાં ત્રણ દર્દીઓ અને સુરતમાં એક મહિલા દર્દીના બે વખત કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેઓ પણ કોરોના વાયરસમાંથી સાજા થઈ ગયા છે. ગુજરાતમાંથી કુલ પાંચ દર્દીઓને કોરોના સંક્રમણમાંથી સાજા કરીને રજા આપવામાં આવી છે. આ અંગે સત્તાવાર જાહેરાત ટૂંકમાં કરાશે.
અગાઉ ગઈકાલે વડોદરાના ત્રણ પેશન્ટના પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. આમ ગુજરાતમાં કુલ પાંચ દર્દીઓને કોરોનામાંથી સાજા થઈ જવા બદલ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હોવાનું જણાયું છે. આ તમામ દર્દીઓને 14 દિવસના ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન ગાળામાં રહેવાનું છે. ત્યારબાદ તેમની સમયાંતરે હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે અને જરૂરી ટેસ્ટ પણ કરાવવામાં આવશે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝિટિવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટિવ આવે તો તેનામાંથી વાયરસ અનલોડ થયો હોવાનું ગણાય અને તે સ્વસ્થ હોવાથી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.