અન્ય ફેક્ટરીઓની દખલગીરીથી રુદ્રપુરી ગ્રૂપના ખેડૂતો મુશ્કેલીમાં, આત્મહત્યાની ચીમકી
વાલિયા તાલુકામાં શેરડી કાપણી અચાનક સ્થગિત થતાં ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યોની ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી કાપણી કોઈ પૂર્વ સૂચના વગર અટકાવી દેવામાં આવી છે. હાલ કાપણીની સીઝન શરુ થઈ હોવાથી ખેડૂતો સમયસર પાક ઉપાડવાની તૈયારીમાં હતા. પરંતુ અન્ય સુગર ફેક્ટરીઓની દખલગિરીને કારણે આ પ્રક્રિયા અટકતા ખેડૂતો ગુસ્સાથી ગર્જી ઉઠ્યા છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે કેટલાક સભાસદોએ આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ચલથાણ ફેક્ટરીમાં નોંધણી બાદ પણ કાપણી ન થવાથી પ્રશ્નો ઊભા
મળતી વિગતો પ્રમાણે ધી રુદ્રપુરી ગ્રૂપના ખેડૂતો વર્ષ 2024-25 માટે નિયમો મુજબ ચલથાણ સુગર ફેક્ટરીમાં વાવેતરની નોંધણી કરી હતી. નિયમ પ્રમાણે સીઝન શરૂ થતાં જ આ ફેક્ટરીએ તેમની શેરડીની કાપણી કરવી જોઈએ. પરંતુ અચાનક અન્ય ફેક્ટરીઓની દખલગીરી આગળ આવતા કાપણી રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ફેક્ટરીમાં નિયમિત રીતે વાવેતર નોંધાવનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલની પરિસ્થિતિમાં પાક ખેતરમાં જ ઊભો રહેશે કે કાપણી થશે તે અંગે અનિશ્ચિતતા ફેલાઈ છે.
દખલગીરીના કારણે 12 એકર શેરડીનો પાક અટકી ગયો
રુદ્રપુરી ગ્રૂપના સભ્ય ઇન્દ્રસિંહભાઈએ જણાવ્યું કે તેઓ અગાઉ ગણેશ સુગર ફેક્ટરીને શેરડી સપ્લાય કરતા હતા, પરંતુ યોગ્ય ભાવ ન મળતા તેમણે હવે ચલથાણ ફેક્ટરીમાં નોંધણી કરાવી છે. ફેક્ટરીમાં શેરડી પહોંચાડવાની જવાબદારી પણ તેઓ પોતે જ સંભાળી રહ્યા છે. તેમ છતાં અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરીને કારણે તેમની 12 એકર જમીનમાં ઊગી આવેલ શેરડીની કાપણી અટકી ગઈ છે. આ અટકાવ ખેડૂતોને આર્થિક તેમજ માનસિક રીતે ભારે મુશ્કેલીમાં ધકેલી રહી છે. સમયસર કાપણી ન થાય તો પાક બરબાદ થવાનો ખતરો છે.
પાક બરબાદીનો ભય અને ખેડૂતોની તાત્કાલિક ન્યાયની માંગ
અચાનક લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતો ગુંચવાઈ ગયા છે, કારણ કે તેમણે કોઈ બીજી ફેક્ટરીમાં નોંધણી કરી નથી. શેરડી ખેતરમાં વધુ સમય સુધી ઊભી રહે તો ગુણવત્તા તથા ઉપજ બંને પર ગંભીર અસર પડે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોનો ગુસ્સો વધ્યો છે અને કાપણી તાત્કાલિક પુનઃ શરૂ ન થાય તો કેટલાક સભ્યો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ચેરમેન રાજૂ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં ઊભા રહ્યાં છે અને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.

