રાજ્યના શિક્ષણમંત્રી વાઘાણી મોટા મોટા ફાંકા મારીને ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષણની વાતોના ફડાકા મારી જેને અહીંનું શિક્ષણ ન ગમે તે ગુજરાત છોડી દેવાની વાતો કરી રહયા છે ત્યારે શિક્ષણમંત્રીએ એકવાર વલસાડજિલ્લાના કપરાડા તાલુકામાં અતિ જર્જરિત અને ખંડેર અવસ્થા ધરાવતી ભયજનક શાળામાં ભણતા બાળકોની મુલાકાત લેવી જઈએ તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. કોઠાર મુખ્ય પ્રાથમિક શાળામાં કુલ 7 ઓરડા બિલકુલ ખંડેર અને જર્જરિત થઈ ગયા છે,જેમાં આદિવાસી બાળકો અભ્યાસ કરી રહયા છે આ ગરીબ પરિવારના બાળકો ખુબજ જોખમી રીતે અભ્યાસ કરવા મજબુર છે. અહીં 155 બાળકોનો જીવ જોખમમાં હોવા છતાં તંત્ર અને સરકાર ને કઈ પડી નથી.
નવાઈની વાત તો એ છેકે નવા ઓરડા બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી માટે શાળાના આચાર્ય દ્વારા તા. 31.7.2020 ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વલસાડને રજુઆત કરી, તા. 29.10.2020 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરી. આ ઉપરાંત ધારાસભ્ય થતા નવા મંત્રીને પણ લેખિત રજુઆત કરી તેમ છતાં નવા ઓરડા માટેની ગ્રાન્ટ ફાળવાઇ નથી જેને લઇ નવા ઓરડા આજ દિન સુધી બન્યા નથી. ત્યારે જર્જરિત શાળા ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના છે.
જર્જરિત શાળાના 7 ઓરડા માટે 2015 થી સ્કૂલના સ્ટાફે તંત્રને વારંવાર રજુઆત કરી છે પરંતુ તંત્રના પેટનું પાણી સુધ્ધા હાલતું નથી અને 8 વર્ષ વીતી ગયા છતાં નવા ઓરડા બન્યા નથી કોઠાર ગામના આદિવાસી વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરી રહયા છે પણ સબંધિત વિભાગનું પાણી પણ હલતું નથી અને બીજી તરફ જયારે શિક્ષણમંત્રી શિક્ષણ સારું લાગતું ન હોય તો ગુજરાત છોડી દેવાનું નિવેદન આપતા હવે અહીંના લોકોમાં એકજ ચિંતા છે કે હવે તેઓ શુ કરે બાળક ને ભણવા મોકલે તો જીવનું જોખમ અને ન મોકલે તો બાળક અભણ રહી જાય ત્યારે હવે અહીંના લોકો ચમત્કાર થાય તેવી આશા રાખીને બેઠા છે.
Sunday, May 19