વલસાડના ભાજપના ધારાસભ્ય ભરત પટેલે ડુંગરીના એક જાગૃત વેપારીને બ્રિજની દીવાલ ધસી પડવાની ઘટના અંગે મીડિયામાં બાઈટ કેમ આપી? તેમ કહી ગાળો આપી મારવાની ધમકી આપવાનો મામલો પોલીસ સુધી પહોંચતા ભારે સનસનાટી મચી ગઇ છે.
આ ઘટના અંગેની જાણવા મળી રહેલી વિગતો મુજબ ડુંગરી,ધરાસણા રોડ ઉપર રહેતા નિલય ખારા નામના વેપારીએ પોલીસ અધિક્ષક,નાયબ પોલીસ અધિક્ષક અને વલસાડ રૂરલ પોલીસ મથકમાં આપેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે તેઓ 19/7/2023ના રોજ બપોરે 2.15 કલાકે પોતાના બાળકને લેવા પોતાની પત્ની સાથે અતુલ વિધાલય ગયા હતા ત્યારે પોતાના મિત્ર સાથે ઉભા હતા અને પોતાનું બાળક છૂટવાની રાહ જોઈ રહયા હતા તે સમયે ધારાસભ્ય ભરતભાઇ પટેલ પણ પોતાના બાળકને લેવા તેમના મિત્ર સાથે આવી પહોંચ્યા હતા.
દરમ્યાન તેઓનું ધ્યાન મારા ઉપર પડતા તેઓ મારી સામે આંગળી ચીંધી કહ્યું હતું કે બ્રિજની દીવાલ જે દિવસે તૂટી ત્યારે આજ ભાઈ ટીવી-મીડિયામાં બોલતા હતા ને ? તેથી વેપારી નિલય ખારાએ હા પાડતા ભરત પટેલ ઉશ્કેરાયા હતા અને આ રેલવે ઓવર બ્રિજ સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ માંથી બને છે તેમાં સ્ટેટ કે પોતાને કોઈ લાગતું વળગતું નહિ હોવાનું જણાવી હું તે દિવસે ગાંધી નગર હોવાનું જણાવી ગાળો બોલવા લાગ્યા હતા અને મારવા હાથ ઊંચો કરતા વેપારીએ ખોટી ખાખણી નહિ કરવાનુ કહેતા ભરત ભાઈએ હાથ ઊંચો કરી મારવાની ધમકી આપી ઘરે આવવાની વાત કરતા સ્કૂલ કેમ્પસમાં ભારે હોબાળો થયો હતો.
વેપારીએ પોતાની વાત જણાવતા અરજીમાં કહ્યું છે કે ગત તા.12/7/2023ના રોજ નિર્માણધીન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હોય ત્યાં સ્થાનિક હોવાના નાતે મીડિયામાં અમે આ કામ અમારી સામે બનતું હોય સાક્ષી હોવાથી અમે કેફિયત રજુ કરી હતી, કારણ કે થોડા દિવસ પહેલાંજ
વલસાડમાં એક જાહેર પ્રોગ્રામમાં ભરતભાઇ અને કનુભાઈએ એક મંચ ઉપરથી જાહેર કર્યું હતું કે અમે જૂન મહિનામાં આ બ્રિજ જનતાને સુપ્રત કરીશું
હવે જ્યારે બ્રિજનો એક હીસ્સો પડી ગયો ત્યારે વેપારી નિલય ભાઈએ મીડિયામાં કહ્યું હતું કે આજના નેતાઓને રીબીન કાપવાની ખૂબ ઉતાવણ હોય છે અને આ હીસ્સો ધસી પડ્યો તે ઉતાવળનું પરિણામ છે.
આ વાત ઉપર ધારાસભ્ય ભરતભાઈ ભડકયા અને ગાળા ગાળી કરી પોતાને ધમકી આપી હોવાનું વેપારી નિલય ખારાએ ફરિયાદમાં જણાવ્યું છે.
તેઓએ કહ્યું છે કે સ્કૂલમાં લાગેલા સીસી ટીવી કેમેરા ચેક કરવામાં આવેતો આખી ઘટના અને ધારાસભ્ય ભરતભાઈ નું અયોગ્ય વર્તન જાણી શકાશે.
આ ઘટનાને પગલે ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડમાં ડુંગરી ખાતે નિર્માણધીન બ્રિજની દીવાલ વરસાદને લઈ માટીનું પ્રેસર આવતા ધસી પડી હતી અને રૂ.23 કરોડના આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સ્થાનિક લોકોમાં લાગ્યા હતા.