વલસાડમાં પૂર ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય કરવા ધારાસભ્ય અને ભાજપ કાર્યકરો નીકળ્યા હતા અને તેઓએ કાશ્મીર નગરમાં સહાય કિટનું વિતરણ કર્યુ હતું જોકે,ભાજપની આ ટીમે માત્ર કાશ્મીર નગરમાંજ કીટ વહેંચી હતી પણ અન્ય પૂરગ્રસ્ત વિસ્તારમાં કિટનું વિતરણ ન કરાતાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
આ મામલે પાલિકાના વોર્ડ નં.2ના અપક્ષ સભ્યો ઉર્વશી પટેલ અને વિકાસ પટેલે ધારાસભ્ય ભરત પટેલને લેખિત રજુઆત કરી જણાવ્યું કે વોર્ડ નં.2માં પૂરમાં રહીશોની ખુબ ખરાબ છે ત્યારે માત્ર એકજ કાશ્મીર નગરમાંજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે આ વિસ્તારોની મૂલાકાત લીધી તે સારી વાત છે,પરંતું શહેરના અન્ય પૂરગ્રસ્ત વિસ્તાર એવા વલસાડપારડીના બરૂડિયાવાડ, સાગર ડેરી રોડ, માસ્તરરોડ, તરિયાવાડ, સહકારી સંઘ વિસ્તાર, નવીચાલ, બંદરરોડ, ઔરંગાનદી પાસે ઘડોચીતળાવ, સેમાચાલ, જોગિયાની નાળ, પ્રજાપતિવાડી પાછળ જેવા વિસ્તારોમાં પણ રેલના પાણીએ તારાજી સર્જી છે તો આ વિસ્તારમાં કેમ કીટ સહાય આપવામાં ન આવી શુ આ વિસ્તાર ભાજપના મતવિસ્તારમાં નથી આવતા, શું આ વિસ્તારો વલસાડની હદ બહારના છે જેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
વોર્ડ નં.2માં રહીશોને નુકસાન પહોંચ્યું છે. દરેકને ફુલ નહિ તો ફુલની પાંખડી મળવી જોઇએ તેવી માગ થઈ હતી.
જોકે,અપક્ષ ની રજુઆત સામે ધારાસભ્ય ભરત પટેલે ચોખવટ કરતા જણાવ્યું કે પાર્ટીના આદેશ મુજબ અલગ અલગ ટીમ, હોદ્દેદારો, ધારાસભ્યોને વિવિધ વિસ્તારોમાં કિટની વિતરણ માટે જવાબદારી સોંપી હતી. મને જે વિસ્તારની જવાબદારી સોંપાઇ ત્યાં મેં વિતરણ કરી દીધું છે,આમ આ મામલો વલસાડમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.