વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર આવતા સર્વત્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે, કપરાડા, પારડીના અનેક કોઝવે પાણીમાં ડૂબ્યા હતા મધુબન ડેમમાંથી મોડી રાતે દર કલાકે 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા પાણીનો પ્રવાહ વધ્યો છે અને પાણી છેક લોકોના ઘરોમાં આવી ગયા હતાં.
દરમિયાન સ્ટેન્ડ બાય રહેલી NDRFની ટીમે બોટ મારફતે દાનહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યા હતાં.
જ્યારે દાનહનાં કરચોંડ ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડુત પતિ પત્ની ચતુર બારકુ ઘાંટાળ ઉ.વ.55 અને એમની પત્ની પોવની ચતુર ઘાંટાળ ઉ.વ 52 રહેવાસી પટેલપાડા પાણીનો પ્રવાહ વધવાને કારણે નદીમાં તણાઈ ગયા હતાં. બન્ને નદી કિનારે ખેતરમા કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક નદીમા પાણીનો પ્રવાહ વધી જતા બન્ને જણા ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા તેઓની શોધખોળ શરૂ કરાઇ હતી.
ઉપરવાસમાં ભારે વરસાદ અને જિલ્લામાં કપરાડામાં ધોધમાર 8 , વાપી 4 ઇંચ પડેલા વરસાદે જળબંબાકાર કરી દીધો હતો અને ઉપરથી મધુબન ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાતા 37 ગામોને એલર્ટ અપાયું હતુ.
ભારે વરસાદને પગલે જિલ્લાના 80 રસ્તા બંધ કરાયા છે જ્યારે વલસાડ – ખેરગામ તાલુકાના 40 ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
દમણગંગા -ઔરંગામાં ધોડાપૂર આવતા વલસાડમાં મોડી રાતે નિચાણ વાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ભરાતા લોકોને રાતોરાત ત્યાંથી સલામત સ્થળે ખસેડાયા હતા.
હનુમાનભાગડા ગામમાં કિનારાના વિસ્તારોમાં રાત્રે ઔરંગા નદીના પાણી ફરી વળ્યા હતા. જ્યારે તરિયાવાડ નજીકના પીચિંગ પુલ પર પાણી ફરી વળતા બંધ કરી દેવાયું હતું. લોલેવલ પુલ ડુબી જતાં હનુમાનભાગડાનો સંપર્ક કપાઇ ગયો હતો.