વલસાડ પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહયા છે ત્યારે વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદને લઈ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે.
ખાનવેલ, કરચોંડ અને દૂધની વિસ્તારમાં પડી રહેલાભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે સાકરતોડ નદીમા પુર આવતા ભગતપાડા વિસ્તારમા નદી કિનારે રહેતા દસથી વધું મકાનો ડુબી જવાને કારણે સ્થાનિકોએ ઘરના છાપરા પર ચડી ગયા હતા અને જીવ બચાવ્યો હતો.
સાકરતોડ નદીમાં પુર આવતા માર્ગો અને કોઝ વે ઉપર પાણી ફરી વળતાં દાનહ પ્રશાસને આજે શુક્રવારે શાળા કોલેજમાં રજા જાહેર કરી છે.
ટીનોડા ગામ તેમજ પારસીપાડા અને પારસપાડા વિસ્તારમા પણ નદીના પાણી ફરી વળ્યા છે.
ખાનવેલની ગોલ્ડાન પાઉંડ હોટલની પ્રોટેક્શન વોલ પણ તુટી પડી હતી.
ખાનવેલથી ચૌડા તરફ જતા રસ્તા પર પણ નદીના પાણી પુલની ઉપરથી પસાર થવાને કારણે હાલમા બન્ને તરફનો રસ્તો બંધ કરવામા આવ્યો છે. બીજી તરફ સાકરતોડ નદીમાં પૂરની સ્થિતિને લઇ સરકારી શાળામાં શેલ્ટર હોમ શરૂ કરાયા છે, જ્યારે સ્થાનિક યુવકો દ્વારા બચાવની કામગીરી શરૂ થઈ હતી.
ભારે વરસાદને કારણે સ્થાનિક જનજીવન ખોરવાયું છે.