ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજી નગરી ટ્રેનનાં એસી કોચમાં ગોળી મારી હત્યા કરી દેવાના બનાવમાં રેલવે પોલીસ જેની સામે ફરીયાદ દાખલ કરી છે તે પૈકીની એક છે મનિષા ગોસ્વામી. મનિષા ગોસ્વામી વાપી ખાતેના અનુકુલ કોમ્પલેક્સમાં રહે છે. પતિ ગજુ ગોસ્વામી અને બે બાળકો છે. મનિષા પાંચ દિવસ અગાઉ ઘરેથી કામ માટે કચ્છ ગઈ હોવાની માહિતી મળી રહી છે. હાલ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હોવાની જાણકારી મળી રહી છે. મનિષા ગોસ્વામી ઉપરાંત આ કેસમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે અને છબીલ પટેલ હાલ અમેરિકા હોવાનું પરિવારજનોના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. મનિષા, છબીલ પટેલ તેમજ સિદ્વાર્થ પટેલ, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર સામે પોલીસ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
મનિષા ગોસ્વામી, છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે ટકરાવની શરૂઆત ભાનુશાળીના ભત્રીજાની વીડિયો ક્લિપથી થઈ હતી. મનિષા ગોસ્વામીએ ભાનુશાળીના ભત્રીજાની બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને 10 કરોડની માંગણી કરી હતી. મનિષાએ જ્યંતિ ભાનુશાળીને પૈસા નહી આપો તો કારકિર્દી ખતમ કરી નાંખવાની ધમકી પણ આપી હતી.શે આ અંગે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. મનિષા ગોસ્વામીને જયંતિ ભાનુશાળીનો ભત્રીજો સુનીલ પાંચેક વર્ષથી ઓળખતો હતો.
વધુ વિગતો મુજબ કેટલાક મહિના પહેલા મનિષાએ સુનીલને અમદાવાદના ફાર્મ હાઉસ પર બોલાવ્યો હતો અને સુનીલ પર સ્પ્રે છાંટી તેને બેભાન કરી દીધો હતો. ત્યાર બાદ અન્ય યુવતી સાથે તેની વલ્ગર વીડિયો ક્લિપ ઉતારવામાં આવી હોવાની ફરીયાદ સુનીલે કરી હતી.
આ ઘટનાનાં થોડા સમય બાદ મનિષાએ સુનીલને મોબાઈલમાં સુનીલને તેનું અજાણી છોકરી સાથે કઢંગી અને નિર્વસ્ત્ર હાલતમાં વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું હતું. જેને આધારે મનિષાએ 10 કરોડની માંગણી કરીને પૈસા નહી આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. સુનીલે તેના કાકા જયંતિ ભાનુશાળીને વાત કરી હતી. સુનીલની વાત સાંભળી ભાનુશાળીએ ગયા માર્ચમાં મનિષાને રૃબરૃ મળી હકીકત જાણી હતી. મનિષાએ જયંતિ ભાનુશાળી પાસે પણ 10 કરોડ રૂપિયાની માંગ દોહરાવી હતી અને ટોકન મની તરીકે 25 લાખ રૂપિયા આપવા કહ્યું હતું અને જયંતિ ભાનુશાળીએ 25 લાખ રૂપિયાની ટોકન મની ચૂકવી પણ હતી. આખીય ઘટનામાં મનિષાએ ત્યાર બાદ અમદાવાદના એસજી હાઈવે પર જયંતિ ભાનુશાળી સાથે મીટીંગ પણ કરી હોવાની જાણકારી મળી રહી છે.
હવે જયંતિ ભાનુશાળીની હત્યામાં મનિષાની ભૂમિકા અંગે હાલ પોલીસ કશું ફોડ પાડીને કહી રહી નથી. મનિષા અને છબીલ પટેલની સાંઠગાંઠ કેવી રીતે હતી તે અંગે જ્યાં સુધી મનિષા કે છબીલ પટેલ પોલીસની પકડમાં ન આવે ત્યાં સુધી રાહ જોવાની રહે છે.