ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા માટે એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતથી જ પ્રચારનો આરંભ કરવાનો વ્યૂહાત્મક અભિગમ અપનાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ ગુરુવારે બપોરે વલસાડ લોકસભાના ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે વિશાળ જનમેદનીને સંબોધિત કરવાના છે. રાહુલ ગાંધી રાફેલ, ખેડૂતો સાથે સહાયના નામે મજાક, રોજગારી સહિતના મુદ્દે ભાજપને ભીંસમાં લેશે તેમ સમજાય છે.આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે, પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનિય છે કે, ફેબ્રુઆરીના પ્રારંભમાં રાહુલ ગાંધીની પહેલી ચૂંટણી સભા માટે ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ પૈકી એક સ્થળની પસંદગીની તૈયારીઓ ચાલી રહી હતી, તેવામાં જ મહેસાણાના ઊંઝા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ ધરી દઇ ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસે તાબડતોબ દક્ષિણ ગુજરાતમાં વલસાડ પર પસંદગી ઉતારી હતી. કોંગ્રેસ માટે વલસાડ લોકસભા મતવિસ્તાર નસીબવંતો રહ્યો છે એવું પક્ષના અનેક લોકો માની રહ્યા છે. ૨૦૦૪ અને ૨૦૦૯માં અહીં કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા એટલે દેશમાં યુપીએ શાસનમાં રહ્યું હતું.
૨૦૧૪માં ભાજપ વિજયી થયા પછી હવે કોંગ્રેસે પોતાના રાષ્ટ્રીય નેતાની પહેલી ચૂંટણી સભા વલસાડથી યોજવાનું નક્કી કર્યું છે. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે લોકસભાની આ બેઠકમાં આવતી વિધાનસભા બેઠકોમાં ત્રણ કોંગ્રેસ હસ્તક છે. રાહુલ ગાંધીની સભા પછી કોંગ્રેસ આદિવાસીઓના અસંતોષને અંકે કરી ભાજપ પાસેથી બેઠક અંકે કરવા માટે ભારે પ્રયાસ શરૂ કર્યા છે.
કોંગ્રેસના આગેવાનો માને છે કે, મોદી સરકાર અને ગુજરાતમાં રૂપાણી સરકારના પગલાંથી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ સૌથી વધારે નાખુશ છે.