‘‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા . . પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ'' ચાણકયની આ વિચારધારા સદાકાળ
પ્રસ્તુત છે. કોઇ પણ વ્યકિતના સર્જન પાછળ એક સફળ શિક્ષક જરૂર હોય છે. વિદ્યાર્થીઓમાં પડેલી ભરપૂર શકિતઓનો ઉપયોગ બાળકો કરી શકે અને દેશનું ભવિષ્ય ઉજજવળ બનાવી શકે તે માટે શિક્ષકનો ફાળો અમૂલ્ય છે.
સમાજ અને રાષ્ટ્રને યોગ્ય દિશા ચીંધવાનું કામ શિક્ષકનું છે. આવી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વલસાડ શહેરની શેઠ આર. જે.જે. હાઇસ્કુલના આચાર્યા ફાલ્ગુની દેસાઇને શ્રેષ્ઠ આચાર્ય રાજય પારિતોષિક-૨૦૧૯ નો પુરસ્કાર રાજયના સન્માનિય રાજયપાલ આચાર્ય દેવ વ્રત, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા. ૫મી સપ્ટેમ્બર, શિક્ષક દિને ટાઉન હોલ, ગાંધીનગર ખાતે આપવામાં આવ્યો હતો.
શિક્ષણને એક જવાબદારીપૂર્ણ વ્યવસાય સમજી તેને સમર્પિત થયેલા સૌજન્યશીલ શિક્ષિકા ફાલ્ગુની મિહિરભાઇ
દેસાઇએ શિક્ષણયાત્રા ૧૯૯૭થી પારડી તાલુકાના ઉદવાડા ભગિની સમાજ મલ્ટીપરપઝ હાઇસ્કૂલ ફોર ગર્લ્સમાં ઉચ્ચતર
માધ્યમિક વિભાગમાં અંગ્રેજીના શિક્ષિકા તરીકેથી શરૂ કરી હતી. ૧૦ વર્ષ સુધી શિક્ષિકા અને ૧૨ વર્ષ આચાર્યા તરીકેનો
બહોળો અનુભવ ધરાવે છે.
શ્રીમતિ ફાલ્ગુની દેસાઇએ શિક્ષિકા તરીકેના કાર્યકાળ દરમિયાન નિમ્ન અને મધ્યમવર્ગના બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કર્યુ છે. શિસ્તના આગ્રહી તેમની આગવી ઓળખ છે. સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની રૂચિ, કલાત્મકતા અને સક્રિયતા દ્વારા શાળાના બાળકોને સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં રાજયકક્ષા સુધી સહભાગી બનાવી અનેક પારિતોષિક મેળવ્યા છે.
સામાજીકક્ષેત્રે પણ ફાલ્ગુનીબેને સક્રિય સેવાઓ આપી છે. અવારનવાર રકતદાન કરી સામાજિક જવાબદારી નિભાવી છે. શાળા/કૉલેજના વિદ્યાર્થીઓને મોટીવેશનલ વકતવ્યો આપી યુવા ઘડતર અને વ્યકિત વિકાસમાં સહભાગી બન્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા ફાલ્ગુનીબેન દેસાઇ વિદ્યાર્થીઓના ભણતર, ગણતર અને ચણતર માટે નિઃસ્વાર્થ ઉત્કૃષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે. તેની ફળશ્રૃતિ રૂપે શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો રાજય પારિતોષિક -૨૦૧૯ના પુરસ્કારનો હક્કદાર બન્યા છે.