દક્ષિણ ગુજરાતના ગામોને ખલાસ કરી નાંખતા ભારત માલા પ્રોજેક્ટને સ્થગિત કરવાનો રૂપાણી સરકારે નિર્ણય કરતા સુરત, નવસારી અને વલસાડના ખેડુતોની લડતનો વિજય થયો છે. ખેડુતો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. રૂપાણી સરકાર હવે આ પ્રોજેક્ટથી બે ડગ પાછળ ખસી ગઈ છે.
ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન કરી રહેલા અનંત પટેલે કહ્યું કે ગુજરાત સરકારે ભારત માલા પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાથી ખેડુતો પાયમાલ થઈ રહ્યા હતા. ઘરતી અમારી માતા છે અને અમારી જમીન થકી જ આગળ આવ્યા છીએ. આ જમીન પર કોઈનો અધિકારને ચલાવી લેવામાં આવશે નહીં, ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ આના કારણે જ કરવામાં આવ્યો હતો.
ભારત માલા પ્રોજેક્ટના કારણે દક્ષિણ ગુજરાતના અંદાજે 74 ગામોને વિપરીત અસર થઈ રહી હતી. ખેડુતોએ પ્રોજેક્ટ અંગે શરૂઆતથી જ વિરોધ કર્યો હતો અને ઉગ્ર દેખાવો પણ કર્યા હતા. ભારત માલા પ્રોજેક્ટમાં દેશના રાજમાર્ગોને એક સાથે જોડવાની મહત્વકાંક્ષી યોજના પરિપુર્ણ કરવાની અમલવારી કરવામાં આવી રહી હતી. હૈદ્રાબાદની કંપનીએ ડ્રોનથી જમીનોનો સરવે કર્યો હતો. પરંતુ પ્રથમ બૂલેટ ટ્રેનમાં ખેડુતો અપાર જમીન જઈ રહી છે અને હવે ભારત માલામાં પણ ખેડુતોની જમીન લઈને સરકાર પડતા પર પાટુ મારવાના બદલે મીઠું ભમરાવી રહી હોવાના કારણે ખેડુતોનો ગુસ્સો ફાટ્યો હતો.