દેશમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં વાવાઝોડાને લઇને ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, વાયુ વાવાઝોડું ગણતરીના કલાકોમાં રાજ્યના દરિયા કિનારે ટકરાઈ શકે છે. ત્યારે રાજ્યમાં વાવાઝોડાને લઈને તંત્ર અલર્ટ થયું છે.
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે. જેને પગલે કોસ્ટલ એરિયાથી નજીકના ગામડાઓ ખાલી કરાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ કોસ્ટલ એરિયા નજીકના ગામડાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો મહેસુલ વિભાગે કલેક્ટરો પાસે આવા ગામડાઓ અને શહેરોની વિગતો માગી છે. જે મામલે કલેક્ટર સરકારને રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટના આધારે અને વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ગામડાઓ ખાલી કરાવવા અંગે નિર્ણય લેવાશે. તો લોકોનું સ્થળાંતર કરીને શાળા અને ધર્મશાળામાં લોકોને આશરો આપવા માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વલસાડમાં પ્રાથમિક વિભાગનું શૌક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ આપાયો છે,
ગીરસોમનાથ, કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદરમાં શાળાઓ બે દિવસ બંધ રહેશે. જોકે હજુ કેટલાક જિલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી શકે છે.