મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ના પાડી, આરોપીઓની ધરપકડની માંગ સાથે હોસ્પિટલ ખાતે ધરણાં
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મહિકા ગામમાં ખનીજ માફિયાના વધતા ત્રાસ વચ્ચે એક હૃદય વિકલ્પી બનાવ સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના ત્રણ કૌટુંબિક ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન 20 વર્ષિય યશ બાંભણીયાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે. બાકી બે યુવાનો હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પરિસ્થિતિને પોલીસ ખૂબ જ ગંભીરતાથી તપાસી રહી છે.
લીઝની માથાકૂટ, ધમકી અને દબાણ વચ્ચે યુવાનોનો ગંભીર નિર્ણય
માહિતી મુજબ યશ, કલ્પેશ અને વિશાલ બાંભણીયાની જમીન ગામની નદીકાંઠે આવેલી છે. આ વિસ્તાર વર્ષો થી ગેરકાયદેસર રેતી ખનન માટે માફિયાઓનું હોટસ્પોટ માનવામાં આવે છે. આરોપ છે કે ખનીજ માફિયાઓ સતત ત્રણેય ભાઈઓ પર દબાણ કરતા, જમીન લીઝ પર આપે તે માટે ધમકીઓ આપતા અને ડરાવવાની કોશિશ પણ કરતા હતા. સતત વધતા આ માનસિક ત્રાસને યશ, કલ્પેશ અને વિશાલ સહન ન કરી શકતાં અંતે જીવલેણ પગલું ભર્યું હોવાનું પરિજનો જણાવે છે.
સારવાર દરમિયાન એકનું મોત, પરિવારનો આરોપીઓની ધરપકડ સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
ત્રણેય યુવાનોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં યશે દમ તોડી દીધો. આ દુખદ ઘટનાથી પરિવારજનોએ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ધરણાં શરૂ કર્યા છે. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આરોપી ખનીજ માફિયાઓની ધરપકડ અને કડક પગલાં લેવાયા વગર તેઓ યશનો મૃતદેહ સ્વીકારશે નહીં. આ નિવેદન બાદ સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે રોષ અને વિરોધનો માહોલ વ્યાપી ગયો છે.
પોલીસે ગુનો નોંધ્યો, તપાસ તેજ – વિસ્તારમાં ચિંતા અને ગુસ્સાની લાગણી
આ બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક રાજકોટ પહોંચી હતી. એક યુવાનના મોત બાદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસની દિશા વધુ ઝડપી બનાવેલી છે. ખનીજ માફિયાના ત્રાસને લઈને લોકોમાં અસુરક્ષા અને અક્રોશનું વાતાવરણ વ્યાપી ગયું છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આવા ગેરકાયદેસર ખનન અને માફિયાગીરી સામે કડક પગલાં લઈ યુવાનોને ન્યાય મળે અને વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવે.

